પાકિસ્તાની સીમા હૈદર ફરી માતા બની:PUBG રમતાં-રમતાં ભારતમાં પ્રેમ થયો, પછી લગ્ન કર્યા; 2023માં ડોક્યુમેન્ટ વિના સરહદ પાર કરીને આવી હતી
પાકિસ્તાનથી ભારત આવેલી 23 વર્ષીય સીમા હૈદર માતા બની છે. મંગળવારે સવારે 4 વાગ્યે નોઈડાની કૃષ્ણા હોસ્પિટલમાં તેણે પુત્રીને જન્મ આપ્યો. આ તેમનું પાંચમું બાળક છે. અગાઉ, તેને તેના પાકિસ્તાની પતિથી ચાર બાળકો હતાં, જ્યારે આ તેના ભારતીય પતિ સચિન મીણાથી તેનું પહેલું બાળક છે. સીમા હૈદરના વકીલ એપી સિંહે જણાવ્યું હતું કે સીમાએ પુત્રીને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંને સ્વસ્થ છે. ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવશે. સચિન મીણાના પરિવારે કહ્યું - આ પરિવાર માટે એક નવો અધ્યાય છે. અમે ટૂંક સમયમાં બાળકીનું નામ રાખીશું. વકીલે કહ્યું- દીકરીનો જન્મ ભારતમાં છે તો તેને ભારતીય નાગરિકતા મળશે દિલ્હી હાઈકોર્ટના વકીલ ઈરફાન ફિરદોસે કહ્યું કે દીકરીનો જન્મ ભારતમાં થયો છે, તેથી ભારતીય નાગરિકતા માટે ક્યાંય અરજી કરવાની જરૂર નથી. આપણા બંધારણમાં જન્મથી નાગરિકતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, બાળકને આપમેળે ભારતીય નાગરિક માનવામાં આવશે. PUBGથી પ્રેમ, નેપાળ થઈને ભારત આવી સીમા હૈદર અને ગુલામ હૈદરનાં લગ્ન 2014માં થયા હતા. 2019માં ગુલામ હૈદર સીમા અને ચાર બાળકોને કરાચીમાં છોડીને દુબઈ ગયો. 2019માં જ, PUBG રમતાં-રમતાં સીમા નોઈડાના રબુપુરાના રહેવાસી સચિન મીણાને ઓનલાઈન મળી. 10 માર્ચ, 2023ના રોજ, સીમા અને સચિન નેપાળમાં રૂબરૂ મળ્યાં. ત્યાં તેમણે મંદિરમાં ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો. નેપાળથી સીમા પાકિસ્તાન ગઈ. સચિન નોઈડા આવી ગયો હતો. 13 મેના રોજ, સીમા ફરીથી પાકિસ્તાનથી દુબઈ થઈને નેપાળ આવી અને નેપાળથી બસ પકડીને રાબુપુરા પહોંચી હતી. 1 જુલાઈના રોજ, સચિન અને સીમા તેમના ભારતીય ઓળખ કાર્ડ બનાવવા માટે બુલંદશહેરમાં એક વકીલને મળ્યા. વકીલે પોલીસને જાણ કરી કે સીમા પાકિસ્તાની છે. સચિન અને સીમાને હરિયાણાથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં આ પછી બંને ઘરેથી ભાગી ગયાં. પોલીસે તેની શોધ શરૂ કરી. 3 જુલાઈના રોજ, સીમા-સચિનની હરિયાણાના બલ્લભગઢથી અટકાયત કરવામાં આવી હતી. 4 જુલાઈ 2023ના રોજ પોલીસે સચિનના પિતા નેત્રપાલની ધરપકડ કરી હતી. 8 જુલાઈના રોજ ત્રણેયને કોર્ટમાંથી જામીન મળ્યા. 17 અને 18 જુલાઈના રોજ, ATSએ સીમા અને સચિનની પૂછપરછ કરી. 21 જુલાઈના રોજ, સીમા અને સચિનના લગ્નના ફોટા અને વીડિયો સામે આવ્યા. નાગરિકતા માટે રાષ્ટ્રપતિ સમક્ષ અરજી કરવામાં આવી હતી 21 જુલાઈના રોજ સીમાએ ભારતીય નાગરિકતા માટે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી હતી. 23 જુલાઈના રોજ, બુલંદશહેરમાં સચિનના પિતરાઈ ભાઈની પૂછપરછ કર્યા પછી, અહમદગઢના બે યુવાનોને લઈ જવામાં આવ્યા, જેમની પાછળથી ધરપકડ કરવામાં આવી. 30 જુલાઈના રોજ સીમાએ એક વીડિયો જાહેર કર્યો. આમાં તેણે વિનંતી કરી કે તેની પાસે ખાવા-પીવા માટે પણ પૈસા નથી. આ પછી, 2 ઓગસ્ટના રોજ મેરઠના ફિલ્મ નિર્દેશક અમિત જાનીએ સીમા-સચિન પર ફિલ્મ 'કરાચી ટુ નોઈડા' બનાવવાની જાહેરાત કરી, જેનો પ્રોમો શૂટ કરવામાં આવ્યો. જો કે, આ ફિલ્મ હજુ સુધી બની શકી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
