પાકિસ્તાને કહ્યું- ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર:પાક. વિદેશ મંત્રી કહ્યું- દુશ્મનીમાં માનતા નથી, પરંતુ ભારત પોતાનો દબદબો વધારવા માટે નિર્ણયો લાદી શકે નહીં - At This Time

પાકિસ્તાને કહ્યું- ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર:પાક. વિદેશ મંત્રી કહ્યું- દુશ્મનીમાં માનતા નથી, પરંતુ ભારત પોતાનો દબદબો વધારવા માટે નિર્ણયો લાદી શકે નહીં


​​​​​​પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે મંગળવારે ભારત સાથે સંબંધો સુધારવાની હિમાયત કરી હતી. પાકિસ્તાન સરકારની થિંક ટેન્ક ISSIની 51મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા ડારે કહ્યું, "અમે દુશ્મનીમાં વિશ્વાસ કરતા નથી. અમે ભારત સાથે સારા પડોશી સંબંધો બનાવીને જમ્મુ અને કાશ્મીર વિવાદને શાંતિપૂર્ણ અને યોગ્ય રીતે ઉકેલવા માંગીએ છીએ. ઈશાક ડારે કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી સમસ્યાઓ છે. અમને લાગે છે કે ભાજપની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળ સાથે, સમય આવી ગયો છે કે આપણે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે ગંભીરતાથી વિચાર કરીએ. આ માત્ર ભારત અને પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના હિતમાં હશે. પાકિસ્તાને કહ્યું- જો ભારત સૈન્ય કાર્યવાહી કરશે તો અમે જવાબ આપીશું
વિદેશ મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન હંમેશા વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલવાનું સમર્થક રહ્યું છે. પરંતુ અમે પાકિસ્તાન પર એકપક્ષીય નિર્ણયો લાદવાના અને પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાના ભારતના પ્રયાસોને ક્યારેય સ્વીકારીશું નહીં. ભારતને ચેતવણી આપતાં ડારે કહ્યું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિરતા જાળવવા માટે દરેક જરૂરી પગલાં લેશે. જો ભારતની હિંદુત્વ સરકાર સૈન્ય કાર્યવાહી કરવાનો કોઈ પ્રયાસ કરશે તો અમે તેનો ચોક્કસ જવાબ આપીશું. UNમાં ભારતીય પ્રતિનિધિએ કહ્યું- પાકિસ્તાનને જવાબ આપવો એ સમયની બરબાદી છે
જ્યાં એક તરફ પાકિસ્તાનના મંત્રીઓ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બેઠક દરમિયાન પાકિસ્તાની પ્રતિનિધિએ ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાનને જવાબ આપતાં ભારતના પ્રતિનિધિ પ્રતીક માથુરે કહ્યું કે, "આજે એક પ્રતિનિધિમંડળે આ બેઠકનો ઉપયોગ ખોટી વાતો ફેલાવવા માટે કર્યો હતો." માથુરે કહ્યું કે તેઓ પાકિસ્તાનના નિવેદનનો કોઈ જવાબ નહીં આપે કારણ કે તે ગૃહનો સમય બગાડશે. આ પહેલા પણ પાકિસ્તાન અલગ-અલગ અવસરે યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. તેના પર ભારતે દરેક વખતે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે. ભારત સામે આંગળી ચીંધતા પહેલા પાકિસ્તાને પોતાના દેશ પર ધ્યાન આપવું જોઈએ. PAK વિદેશ મંત્રાલયે કહ્યું- ભારતના નિવેદનબાજી છતાં અમે કશું કહ્યું નહીં
છેલ્લા 4 મહિનામાં પાકિસ્તાનના અલગ-અલગ મંત્રીઓએ ભારત સાથે સંબંધો સુધારવાને લઈને અનેક વખત નિવેદનો આપ્યા છે. જૂનની શરૂઆતમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે કહ્યું હતું કે "ભારત તરફથી રેટરિક અને તમામ મુશ્કેલીઓ હોવા છતાં, અમે જવાબદાર વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર વિવાદ સહિત ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા માટે તૈયાર છે. અમને આશા છે કે ભારત બંને દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવા માટે વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પણ પ્રયાસ કરશે. 'પાકિસ્તાન ભારત સાથે વેપાર શરૂ કરવા માંગે છે'
એપ્રિલમાં સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આશા વ્યક્ત કરી હતી કે ભારતમાં લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે. તેમણે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન સંબંધોનો પોતાનો એક ખાસ ઈતિહાસ છે. આવી સ્થિતિમાં ચૂંટણી બાદ પરિસ્થિતિ બદલાય તેવી આશા છે. અગાઉ 23 માર્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું હતું કે પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે વેપાર ફરી શરુ કરવા માંગે છે. સરકાર આ મામલે સંબંધિત લોકોની સલાહ લઈને તમામ પ્રસ્તાવોની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.