કેજરીવાલની 'આઝાદી' પર હાઈકોર્ટની બ્રેક:દિલ્હી HCએ જામીન પર સ્ટે મુક્યો, સુનાવણી ચાલુ; ગઈ કાલે જ સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા હતા - At This Time

કેજરીવાલની ‘આઝાદી’ પર હાઈકોર્ટની બ્રેક:દિલ્હી HCએ જામીન પર સ્ટે મુક્યો, સુનાવણી ચાલુ; ગઈ કાલે જ સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા હતા


રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં 20 જૂને અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. પરંતુ હાલ સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. EDની દરમિયાનગીરી બાદ દિલ્હી હાઈકોર્ટે કેસની સુનાવણી ન થાય ત્યાં સુધી તેમના જામીન પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે જ્યાં સુધી જામીનને પડકારતી EDની અરજી પર સુનાવણી ન થાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશને અસરકારક ગણવામાં આવશે નહીં. અગાઉ, ઇડીએ ટ્રાયલ કોર્ટ પાસે જામીન પર 48 કલાકનો સ્ટે લગાવવાની માગ કરી હતી, પરંતુ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે આવતીકાલે ડ્યુટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે. દિલ્હીના સીએમને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ ભરવાનો આદેશ મળ્યો છે. કોર્ટે કહ્યું છે કે વિગતવાર નિર્ણય શુક્રવારે અપલોડ કરવામાં આવશે. ત્યારે ખબર પડશે કે દિલ્હીના સીએમને કયા આધારે જામીન આપવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટમાં 20 જૂને સતત બીજા દિવસે સવારે જામીન અરજી પર સુનાવણી થઈ હતી. ન્યાયાધીશ ન્યાયબિંદુની વેકેશન બેન્ચે ઇડી અને કેજરીવાલની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.