પરિવર્તન:જર્મનીમાં ભડકાઉ પોસ્ટ લખવા કે શેર કરવા બદલ ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ - At This Time

પરિવર્તન:જર્મનીમાં ભડકાઉ પોસ્ટ લખવા કે શેર કરવા બદલ ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ


જર્મનીમાં હવે સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ લખવા પર પ્રવાસીઓની ઘર વાપસી થઈ જશે. જેના માટે સરકારે કાયદાના ડ્રાફ્ટ પર સહમતિ જતાવી છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ આતંકવાદનું સમર્થન કરનારી સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરવા, પોસ્ટ કરવા, તેને શેર કરવા અને ત્યાં સુધી કે પોસ્ટ પર સમર્થનમાં કોમેન્ટ કરવા પર પણ જર્મનીમાંથી દેશનિકાલ કરી શકાશે. અહીં કાયદો યહૂદીઓ અને મુસલમાનો વિરુદ્ધ વધતાં હેટ ક્રાઈમથી ઇઝરાયલ પર હુમલો અને અન્ય આતંકવાદી કૃત્યોની પ્રશંસા કરનારી નફરતથી ભરેલી પોસ્ટના જવાબમાં પગલાં લેવામાં આવ્યાં છે. જર્મનીના આંતરિક મંત્રાલય અનુસાર આ કાયદો પસાર થશે તો આતંકવાદને સોશિયલ મીડિયા પર સમર્થન આપનારાઓને બહાર કરવાની પ્રક્રિયા ઝડપી બનશે. અત્યાર સુધી કોઈ પણ પ્રવાસીને દેશમાંથી કાઢવા માટે ફોજદારી ગુનામાં દોષી સાબિત કરવો જરૂરી હોય છે. જોકે કાયદો પસાર થયા પછી હવે ફોજદારી કેસોમાં દોષી સાબિત થવું જરૂરી નહીં હોય. હવે માત્ર ભડકાઉ પોસ્ટના આધારે દેશમાંથી બહાર કરી શકાશે. હાલના સમયમાં જર્મનીમાં લગભગ 50 હજાર ભારતીયો રહે છે. આ કાયદાની અસર ભારતીયો પર પણ પડશે.
ચાન્સેલર ઓલાફ શોલ્જે કાયદો લાવવા પાછળનું કારણ જણાવતાં કહ્યું કે આતંકવાદના સમર્થન અને પ્રશંસાથી લખાયેલી પોસ્ટ પીડિતો, તેના પરિવારો અને આપણી લોકતાંત્રિક વ્યવસ્થા માટે સમસ્યા છે. પ્રવાસીઓ વિરુદ્ધ જર્મની સહિત સંપૂર્ણ યુરોપમાં સખત કાયદો બનશે
જર્મની ઉપરાંત ઈટલી, ફ્રાન્સ અને બ્રિટન જેવા યુરોપીય દેશ પ્રવાસીઓ માટે સખત કાયદો લાવી રહ્યા છે. દક્ષિણપંથીઓના દબાણને કારણે આ તમામ દેશ તેની વિરુદ્ધ કડકાઈ વર્તવા મજબૂર છે. જોકે, જર્મન સરકારનું કહેવું છે કે પ્રસ્તાવિત કાયદો આવવાથી પ્રવાસીઓ અને જર્મન નાગરિકો વચ્ચે સમાવેશ વધશે. પ્રોફેશનલ્સ આકર્ષાશે. ટીકાકારોનો તર્ક છે કે તેનાથી જર્મન નાગરિકતાની વેલ્યૂ ઘટી જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.