જસદણના ગઢડીયાના રમીલાબેન શિયાળનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના ગઢડીયા ગામે રહેતા રમીલાબેન અશોકભાઇ શિયાળ (ઉ.વ.૨૩) નામની પરિણીતાને રાતે ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતા. તેઓને પેરેલિસિસની અસર હોવાની શક્યતાએ સારવાર માટે આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારજનને મૃત્યુ અંગે શંકા લાગતાં અને કદાચ બેદરકારી હોઇ શકે તેવું લાગતાં પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરતાં રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી. રમીલાબેનના પ્રથમ પતિનું કોરોનામાં અવસાન થયું હતું. તેણીએ અશોકભાઈ શિયાળ સાથે ચાર વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતાં. આગલા ઘરના બે દિકરા છે. પતિ અશોકભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પતિ પરિવારજનોએ કહ્યું હતું કે ઇન્જેકશન અપાયા બાદ કદાચ તબિયત બગડી હતી. જેથી અમારે પોસ્ટમોર્ટમ કરાવવું છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
