જ્યેષ્ઠ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી - At This Time

જ્યેષ્ઠ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી


જ્યેષ્ઠ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી
-------
ટ્રસ્ટ તરફથી સચિવ શ્રી યોગેન્દ્રભાઇ દેસાઈના હસ્તે લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપુજન કરવામાં આવ્યા
-------
મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
-------
પ્રત્યેક માસિક શિવરાત્રિ પર સોમનાથમાં કરવામાં આવે છે પાઠાત્મક અને હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા

સોમનાથ તા.05/07/2024- જયેષ્ઠ વદ તેરસ, ગુરુવાર

પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે.

ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર જયેષ્ઠ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે આજે જયેષ્ઠ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.

સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, સહિત મહાનુભાવો તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. આ પાવન પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંદિરના પુજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો સાથે મંત્રોચ્ચાર થી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. પૂજનના અંતે સચિવશ્રી દ્વારા શ્રી સોમનાથ મહાદેવને મહાપૂજા માટે પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવેલ.

જયેષ્ઠ માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. "હરહર મહાદેવ, જય સોમનાથ"ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.