શિક્ષક દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના ‘શ્રેષ્ઠ શિક્ષકો’ નું કરવામાં આવ્યું સન્માન. - At This Time

શિક્ષક દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના ‘શ્રેષ્ઠ શિક્ષકો’ નું કરવામાં આવ્યું સન્માન.


શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને દૃષ્ટિથી ઉમદા કામગીરી કરનારા અરવલ્લી જિલ્લાના ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાનો અને સાત શિક્ષકોને તાલુકા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યા.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભિખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા પાયા રૂપ બની રહેવાની છે. દેશની આવતી કાલ સમા બાળકોની કારકિર્દી તેમજ જીવન ઘડતરનું કામ શિક્ષકોના હાથમાં રહેલું છે. નિષ્ઠાવાન અને દૃષ્ટિવંત શિક્ષકોના યોગદાનને બિરદાવવા માટે દર વર્ષે શિક્ષકદિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે.

શિક્ષકદિન નિમિત્તે આ વર્ષે અરવલ્લી જિલ્લાના મળીને કુલ દસ ‘શ્રેષ્ઠ શિક્ષકો’નું સન્માન થવાનું છે. શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને દૃષ્ટિથી ઉમદા કામગીરી કરનારા અરવલ્લી જિલ્લાના ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાનો અને સાત શિક્ષકોને તાલુકા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરાશે.

જિલ્લાકક્ષાનો સન્માન સમારંભ મોડાસાના ટાઉનહોલ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર, કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન કેડિયા અને નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.

આ વર્ષે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનારા શિક્ષકોમાં બાંઠીવાડા પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશકુમાર પંડ્યા, એચ. બી. પટેલ હાઇસ્કુલ સાકરીયાના શિક્ષક મયંકભાઈ ભટ્ટ અને આર.જે.તન્ના પ્રેરણા મંદિર ભિલોડાના શિક્ષક ડૉ . મહેશભાઈ પટેલને પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા.
અરવલ્લીમાં તાલુકા કક્ષાનો એવોર્ડ મેળવનારા શિક્ષકોની વાત કરીએ તો તેનપુર પ્રાથમિક શાળાના શિક્ષક વિલાસબેન પટેલ, ડેરીયા પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ ગજ્જર, આકલીયા ડબારણ પ્રાથમિક શાળાના શિક્ષક અજયકુમાર શર્મા, કોયલિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગાયત્રીબેન ખરાડી, રેલ્લાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક હરેશકુમાર પ્રજાપતિ, મોડાસા પ્રાથમિક શાળા નં -૭ ના શિક્ષક મહેરુનીશાબેન મસી અને ઈશ્વરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હંસાબેન પારઘીને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
આજના કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે તેમને પણ તેમના ભૂતકાળમાં ડોકિયું કરી પોતાના શિક્ષકોને યાદ કર્યા છે. બાળકોના મનમાં રહેલી શક્તિને બહાર ઉજાગર કરવાનું કાર્ય શિક્ષક કરે છે. બાળકની પ્રગતિથી શિક્ષકને ગર્વ થાય છે.
આજના કાર્યક્રમમાં જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવા કાર્યક્રમોમાં ઉમદા પ્રદર્શન કરનાર કુલ ૧૫ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું.
શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળનારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અન્ય શિક્ષકો અને વિધાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
આ ઉપરાંત જે.બી.શાહ ઈંગ્લીશ મિડિયમ હાઇસ્કુલ અને શેઠશ્રી એમ.આર.શાહ સરસ્વતી વિદ્યાલયને શ્રેષ્ઠ શાળા તરીકે સન્માનિત કરવામાં આવી.
આજના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.ઉષાબેન ગામિત સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ , જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.