'દેશના પિતા નહીં, દેશના તો લાલ હોય':ગાંધી જયંતી પર કંગનાની પોસ્ટથી વિવાદ; નીચે લાલ બહાદુર શાસ્ત્રીનો ફોટો મૂક્યો, BJP નેતાએ કહ્યું- ગોડસે જેવો વિચાર - At This Time

‘દેશના પિતા નહીં, દેશના તો લાલ હોય’:ગાંધી જયંતી પર કંગનાની પોસ્ટથી વિવાદ; નીચે લાલ બહાદુર શાસ્ત્રીનો ફોટો મૂક્યો, BJP નેતાએ કહ્યું- ગોડસે જેવો વિચાર


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર હિમાચલની મંડી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ છેડાઈ ગયો છે. આને મહાત્મા ગાંધીના અપમાન તરીકે જોવામાં આવી રહ્યું છે. કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે- "દેશના પિતા નહીં, દેશના તો લાલ હોય છે. ધન્ય છે, આ ભારત માતાના પુત્રો.'' આની નીચે કંગનાએ લાલ બહાદુર શાસ્ત્રીનો ફોટો મૂક્યો છે. તમને જણાવી દઈએ કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. કંગનાએ આ પોસ્ટ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર જ કરી છે. જો કે આ પોસ્ટ દ્વારા તેમણે મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું છે. કંગનાએ આપ્યો સંસ્કાર અને પ્રકૃતિની સ્વચ્છતાનો સંદેશ
કંગના રનૌતે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કહી રહી છે કે સ્વચ્છતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી સ્વતંત્રતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીના આ વિઝનને આગળ લઈ જઈ રહ્યા છે. આ અભિયાનની થીમ છે, સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા. આ આપણા ભારતની સંપત્તિ અને વારસો છે. આપણો દેશ સંસ્કાર અને સ્વભાવમાં સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ, જેથી આપણી આવનારી પેઢી વડીલો, બાળકો અને મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ બને. અંતમાં કંગના કહે છે કે, સ્વચ્છતા અભિયાન ઉજવવામાં આવે છે, સંસ્કાર અને સ્વભાવ સ્વચ્છતાની સાથે. કંગના રનૌતને લઈને પંજાબ ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું નિવેદન BJP નેતાએ કહ્યું- કંગનાનો વિચાર નાથુરામ ગોડસેનો વિચાર
પંજાબ બીજેપીના વરિષ્ઠ નેતા હરજીત ગ્રેવાલે કહ્યું, કંગના રનૌત, જે મંડીથી સાંસદ છે અને એક ફિલ્મ સ્ટાર પણ છે, તેમણે ગાંધીજી વિશે નિવેદન આપ્યું છે, જે ખૂબ જ શરમજનક છે. ગ્રેવાલે કહ્યું કે તેમણે મહાત્મા ગાંધી વિશે નિવેદન આપ્યું છે. વધુમાં કહ્યું કે, તેમણે મહાત્મા ગાંધીને તો પસંદ નથી કર્યા, પણ લાલ બહાદુરને પસંદ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, કોઈએ તેમને કહેવું જોઈએ કે લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજીના સૌથી મોટા સમર્થક હતા. જો તમે શિષ્યનું સન્માન કરી રહ્યા છો અને તેમના માર્ગદર્શકનું અપમાન કરી રહ્યા છો તો ક્યાંનું શાણપણ છે. કંગનાના વિચારો નાથુરામ ગોડસેના વિચારો છે. હું સમજી શકુ છું કે મંડીના લોકોથી ભૂલ થઈ ગઈ છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. કોંગ્રેસ નેતાએ કહ્યું- કંગના પર દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ
કોંગ્રેસ નેતા રાજ કુમાર વેરકાએ કહ્યું, કંગના રાષ્ટ્રવિરોધી વાત કરી રહી છે. અમે વારંવાર માગ કરી રહ્યા છીએ કે તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. ભાજપ ન તો તેની સામે કેસ દાખલ કરી રહી છે અને ન તો કોઈ અન્ય કાર્યવાહી કરી રહી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજે મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ છે, આવી સ્થિતિમાં આ ટિપ્પણી સહન કરી શકાય તેમ નથી. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરી રહ્યા છે. તે મહાત્મા ગાંધીનું અપમાન કરી રહી છે. ભાજપે આ અંગે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ. કંગના સામે પણ કાર્યવાહી કરો. કંગનાએ બાપુના અહિંસાના મંત્રની મજાક ઉડાવી હતી
આ પહેલીવાર નથી જ્યારે કંગનાએ મહાત્મા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તે અનેક પ્રસંગોએ બાપુની મજાક ઉડાવી ચૂકી છે. 17 નવેમ્બર 2021ના રોજ પણ કંગના બાપુ પર વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં આવી હતી. તે સમયે કંગનાએ દાવો કર્યો હતો કે, આઝાદ હિંદ ફોજના સંસ્થાપક સુભાષ ચંદ્ર બોઝ અને શહીદ ભગત સિંહને મહાત્મા ગાંધીનું સમર્થન મળ્યું નથી. આ સાથે કંગનાએ મહાત્મા ગાંધીએ આપેલા 'અહિંસાના મંત્ર'ની પણ મજાક ઉડાવી અને કહ્યું- વધુ એક ગાલ આગળકરવાથી તમને ભિક્ષા મળે છે, આઝાદી નહીં. એટલું જ નહીં, કંગનાએ લખ્યું હતું કે, તમારા હીરોને સમજદારીથી પસંદ કરો. ગાંધીજીને રાષ્ટ્રપિતા કોણે કહ્યા?
મોહનદાસ કરમચંદ ગાંધીને લોકો મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા અને બાપુ તરીકે ઓળખે છે. 4 જૂન, 1944ના રોજ, સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી સંદેશ પ્રસારિત કરતી વખતે મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા' તરીકે સંબોધ્યા હતા. બાદમાં ભારત સરકારે પણ આ નામને માન્યતા આપી હતી. ગાંધીજીના મૃત્યુ પછી, ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું અને કહ્યું કે 'રાષ્ટ્રપિતા હવે નથી'. તેમણે ગાંધીજીને આ બિરુદ એટલા માટે આપ્યું કારણ કે તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા હતા અને દેશને એક કરી નાખ્યા હતા. ત્યારથી તેમને 'રાષ્ટ્રપિતા' કહેવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.