વિસનગર ખાતે માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ દ્વારા કંઠસ્થ હનુમાન ચાલીસા પ્રતિયોગિતા યોજાઈ
માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા તારીખ : ૨-૬-૨૦૨૪ને રવિવારના રોજ માર્કેટયાર્ડ, વિસનગરના ભોજનાલય હોલમાં કંઠસ્થ હનુમાન ચાલીસા પ્રતિયોગિતા યોજાઈ ગઈ. જેમાં બાલમંદિર વિભાગમાં ૧૮, ધોરણ : ૧ થી ૪ વિભાગમાં ૪૧ અને ધોરણ : ૫ થી ૧૦ વિભાગમાં ૫૭ મળી કુલ : ૧૧૬ સ્પર્ધક ભાઈ-બહેનોએ પોતાના સુંદર સ્વરમાં કંઠસ્થ હનુમાન ચાલીસા રજૂ કરી ભક્તિમય વાતાવરણ ખડું કર્યું હતું. તેમાં બાલમંદિર વિભાગમાં કાદરભાઈ મનસુરીના માર્ગદર્શન હેઠળ સામાન્ય બાળકો સાથે પ્રજ્ઞાચક્ષુ ધર્મ યોગેશભાઈ દરજીએ સહભાગી થઈ પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે. ધર્મની આ યશસ્વી સિદ્ધિને હોલમાં ઉપસ્થિત સૌ શ્રોતાજનોએ ઊભા થઈ તાળીઓના ગડગડાટથી વધાવી લઈ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કંઠસ્થ હનુમાન ચાલીસાના નિર્ણાયક તરીકે સી.આર.સી. શ્રી વિનોદભાઈ રાવલ અને યુવા કથાકાર શ્રી રાજેશભાઈ મિશ્રાએ પોતાની સુંદર સેવાઓ આપી હતી. માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગરના સંચાલક શ્રી કમલેશભાઈ વૈદ્યના સુચારુ માર્ગદર્શન હેઠળ આ કંઠસ્થ હનુમાન ચાલીસા પ્રતિયોગિતાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્પર્ધાનું સ્ટેજ સંચાલન કાદરભાઈ મનસુરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)