રાજકોટમાં પત્રકારો સાથે મળીને પ્રાદેશિક માહિતી કચેરી ખાતે થયું વૃક્ષારોપણ. - At This Time

રાજકોટમાં પત્રકારો સાથે મળીને પ્રાદેશિક માહિતી કચેરી ખાતે થયું વૃક્ષારોપણ.


રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે માહિતી ખાતાના સ્ટાફ તેમજ પત્રકારો સાથે મળીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. માહિતી ખાતાના નિયામક કે.એલ.બચાણીની પ્રેરણા અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના નિર્દેશ મુજબ, રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસિયાની સૂચના મુજબ આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પર્યાવરણને બચાવવા માટે વૃક્ષો વાવીને ઉછેરવા ખૂબ જરૂરી છે, ત્યારે કચેરી સ્ટાફ દ્વારા આજે ઉત્સાહભેર વૃક્ષો વાવવામાં આવ્યા છે. ઉપરાંત "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત કચેરી સ્ટાફ દ્વારા પરિસરની નિયમિત રીતે સફાઈ કરવામાં આવે છે. આ તકે સહાયક માહિતી નિયામક સોનલ જોશીપુરાએ જણાવ્યું હતું કે, "એક પેડ માઁ કે નામ" તેમજ "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંગે જાગૃતિ લાવીને, લોકોને તેમાં સહભાગી બનાવવામાં પત્રકારો અને સમાચાર માધ્યમોની ખૂબ મહત્વની સકારાત્મક ભૂમિકા રહી છે. ધરતીને હરિયાળી બનાવવાના ઉમદા અભિયાનમાં પત્રકારો પણ સક્રિયતાથી જોડાય તેવી ભાવના સાથે આજે અહીં પત્રકારો સાથે મળીને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરાએ "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત સ્વચ્છતા જાળવવા તેમજ "એક પેડ માઁ કે નામ" અન્વયે વૃક્ષો વાવીને ઉછેરવા અંગેના શપથ પણ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં સહાયક માહિતી નિયામક પ્રિયંકા પરમાર, રાધિકા વ્યાસ, કચેરી અધિક્ષક રજાક ડેલા તેમજ વર્ગ-૩ તથા વર્ગ-૪નો તમામ સ્ટાફ વૃક્ષારોપણમાં જોડાયો હતો.
રાજકોટના પૂર્વ નાયબ માહિતી નિયામક નિરાલા જોશી, પૂર્વ સહાયક માહિતી નિયામક જગદીશ સત્યદેવ તેમજ રાજકોટના પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક્સ ન્યૂઝ ચેનલના અનેક પત્રકારો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે પત્રકારોએ ગ્લોબલ વોર્મિંગ સામે ધરતીને હરિયાળી બનાવવા વૃક્ષારોપણને અનિવાર્ય ગણાવ્યું હતું. આ સાથે "વધુ વૃક્ષો વાવીને ધરતીને બચાવીશું".. "વૃક્ષો ઉછેરીને ધરતીને નંદનવન બનાવીશું", "વૃક્ષો છે પર્યાવરણનો પ્રાણ", "વૃક્ષો છે જીવનનો આધાર" એવી ભાવના પણ વ્યક્ત કરી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.