શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે અમરેલી જિલ્લાના ચલાલા મુકામે રક્ષા શક્તિ સ્કૂલનું ઉદ્ધાટન - At This Time

શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે અમરેલી જિલ્લાના ચલાલા મુકામે રક્ષા શક્તિ સ્કૂલનું ઉદ્ધાટન


શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે અમરેલી જિલ્લાના ચલાલા મુકામે રક્ષા શક્તિ સ્કૂલનું ઉદ્ધાટન

કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલય, સંરક્ષણ સેવાઓ, અર્ધ-લશ્કરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દીના ઘડતર માટેના અભિગમ સાથે ઉચ્ચ ગુણવત્તા યુક્ત નિવાસી શાળાઓ શરુ કરવાના ઉદ્દેશ સાથે રાજય સરકાર દ્વારા સામાજિક ભાગીદારી હેઠળ રક્ષા શક્તિ સ્કૂલ્સ શરુ કરવામાં આવી છે. આ કડીના ભાગરુપે ફક્ત વિદ્યાર્થિનિઓ માટેની સૌરાષ્ટ્રની પ્રથમ રક્ષા શક્તિ સ્કૂલનું અમરેલી જિલ્લાના ચલાલા મુકામે શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ઉદ્ધાટન થયું હતું. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલમાં પ્રથમ વર્ષે ૭૦ વિદ્યાર્થિનિઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

      આ પ્રસંગે સંબોધન કરતા શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈએ કહ્યુ કે, રાજ્યમાં સરકાર દ્વારા ૧૦ રક્ષા શક્તિ સ્કૂલ આપવામાં આવી છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થિનિઓની પ્રથમ રક્ષા શક્તિ સ્કૂલની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને આપવામાં આવી છે. આ પરિસરમાંથી અભ્યાસ કરી અને ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થિનિઓ રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્ર સુરક્ષા અને સલામતીમાં યોગદાન આપશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો અને બેટી પઢાવોનો નારો આપ્યો હતો. આ રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ દ્વારા આ નારા સાથે નારી સશક્તિકરણની વડાપ્રધાનશ્રીની સંકલ્પના ચરિતાર્થ થશે.

     તેમણે વિકસિત ભારતની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પરીકલ્પનાના અનુસંધાનમાં ઉમેર્યુ કે, આ સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કરનારી વિદ્યાર્થિનિઓ વિકસિત ભારતમાં અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપશે. ગરુકુળ પરંપરાઓ જેમાં ગુરુ શિષ્ય વચ્ચે આદર ભાવ હતો તેના દ્વારા ભારત મહાન દેશ હતો. આ પ્રકારના સંસ્કાર દ્વારા નવી શિક્ષા પદ્ધતિ આધારિત શિક્ષણથી ભારત ફરી વિશ્વ ગુરુ બનશે.

   આ પ્રસંગે તેમણે વિદ્યાર્થિનિઓ અને સંસ્થાના અન્ય વિદ્યાર્થીઓને પંડિત શ્રી રામ શર્મા આચાર્યના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પના વિચારો રજૂ કર્યા હતા અને જ્ઞાન તેમજ મૂલ્ય આધારિત શિક્ષા વ્યવસ્થા પર ભાર આપ્યો હતો.

   કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષકનું રાષ્ટ્રપતિશ્રીના હસ્તે સન્માન પ્રાપ્ત કરનાર અમરેલી જિલ્લાના શિક્ષકશ્રી ચંદ્રેશભાઈ બોરીસાગરનું સન્માન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી ચંદ્રમૌલી જોશી, સંસ્થાના સંચાલકશ્રી મહેશભાઈ મહેતા, સ્થાપક શ્રી રતિલાલ મેહતા, અગ્રણીશ્રી જયંતિભાઈ પાનસૂરીયા, શ્રી અતુલભાઈ પંડ્યા, શ્રી  પ્રકાશભાઈ કારિયા, શ્રી  જયરાજભાઈ વાળા, શ્રી હિંમતમાઈ દોંગા, શ્રી પ્રવિણભાઈ માળવીયા, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી બીપીનભાઈ ભરાડ, શિક્ષકો, વિદ્યાર્થિનિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.