ગરીબ કલ્યાણ મેળામાં ૧૪૬૩ લાભાર્થીઓને રૂ.૨ કરોડ ૫૬ લાખનાં લાભોનું વિતરણ કરાયું - At This Time

ગરીબ કલ્યાણ મેળામાં ૧૪૬૩ લાભાર્થીઓને રૂ.૨ કરોડ ૫૬ લાખનાં લાભોનું વિતરણ કરાયું


પોરબંદર માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

ગોસા (ઘેડ)પોરબંદર, તા.૨૭/૦૯/૨૦૨૪
રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી વ્યકિતલક્ષી સહાયના લાભો લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને પારદર્શી રીતે લાભો પહોંચે તે માટે રાજ્યભરની સાથે પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઇ પરમાર ,રાજ્ય સભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા , ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોરબંદર માર્કેટીંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ ૧૪૬૩ લાભાર્થીઓને રૂ.૨ કરોડ ૫૬ લાખથી વધુનાં લાભોનું હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારે જણાવ્યું હતું. કે, ગરીબ કલ્યાણ મેળાનાં માધ્યમથી પારદર્શીક રીતે જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભો આપવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીનાં વિકસિત ભારતનું સપનું સાકાર થાય તે માટે રાજ્ય સરકાર ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને જરૂરિયાતમંદ લોકોને યોજનાકીય લાભો આપીને પગભર કરવા માટે કટિબદ્ધ છે. જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ પણ જિલ્લાનો વિકાસ થાય તે માટે વિવિધ નીતિગત નિર્ણયો કરીને છેવાડાના લોકોની સુખાકારી વધે તે દિશામાં કાર્ય કરી રહ્યાં છે. ગરીબ કલ્યાણ મેળાઓ રોજગારીનું અવસર પણ બન્યા છે. રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૫ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ ગરીબો- જરૂરિયાતમંદોને પારદર્શક લાભો મળે તે માટે ૫૫ કરોડ જનધન ખાતા ખોલાવીને સહાય પારદર્શક રીતે ડાયરેક્ટ તેના ખાતામાં મળી જાય તે માટેની પારદર્શક વ્યવસ્થાઓ કરી છે તેમજ રાજ્ય સરકારે ૧૬૦૦ જેટલા મેળાઓનાં માધ્યમથી છેવાડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓની લાભો આપીને તેને આર્થિક રીતે સધ્ધર બને એ દિશામાં કાર્ય કર્યું છે. વધુમાં તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધીનાં સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીને કાયમી સ્વચ્છતાને અપનાવવા તેમજ લોકોને વ્યસન મુક્ત બનવા માટે અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પર્યાવરણ બચાવવાની વાત કરતાં જણાવ્યું હતું કે જો પૃથ્વી પર વૃક્ષો જ નહીં હોય તો જીવવું અશક્ય છે.પર્યાવરણ જાળવણી કરવા અનુરોધ કર્યો હતો. દેશને વિકસીત બનાવવાં દરેક હાથમાં સ્કીલ હોવી જરૂરી છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકાર વિવિધ યોજના સહાય કરીને છેવાડાનાં લોકો આર્થિક રીતે સધ્ધર અને દરેકનાં હાથમાં કામ મળે તે દિશમાં કાર્ય કરી રહી છે. યોજનાઓ નો લાભ લઈને આગળ આવવા અને જીવનમાં પરિવર્તન કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સ્વચ્છતા અને નશાબંધી અંગે જાગૃત કરતું નાટક રજુ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા પ્રોત્સાહિત જાગૃત કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નું નિર્દેશન કરવામાં આવ્યું હતું. અને ગરીબ કલ્યાણ મેળાના મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. અને અને લોકો આરોગ્યની તપાસની કરાવી શકે તે માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. અને ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વાઘાણી અને આભારવિધી તાલુકા વિકાસ અધિકારી શ્રી આર. પી. મકવાણાએ કરી હતી.
આ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે . બી.ઠક્કર,તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લીરીબેન ખૂટી, નગરપાલિકા પ્રમુખ શ્રી ડો.ચેતનાબેન તિવારી, જિલ્લા કારોબારી પ્રમુખ શ્રી આવડાભાઈ ઓડેદરા, જિલ્લા પોલીસ વડા શ્રી બી. યુ. જાડેજા,જિલ્લા વિકાસ ગ્રામ એજન્સી નિયામક શ્રી રેખાબા સરવૈયા, પોરબંદર પ્રાંત અધિકારી શ્રી એસ.એ.જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી શ્રી પારસ વાંદા સહિતનાં અધિકારીઓ- પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.