મુંબઈ ધારાવીમાં તણાવ:મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડવા પહોંચેલી BMCની ટીમને ટોળાએ ઘેરી લીધી; વાહનોમાં તોડફોડ કરી - At This Time

મુંબઈ ધારાવીમાં તણાવ:મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડવા પહોંચેલી BMCની ટીમને ટોળાએ ઘેરી લીધી; વાહનોમાં તોડફોડ કરી


મુંબઈના ધારાવીમાં ગેરકાયદે મસ્જિદ પર BMCની કાર્યવાહીથી તણાવ ફેલાયો છે. BMCની ટીમ મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી, પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાંક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સ્થિતિને જોતાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે. ધારાવીમાં સ્થિતિ હજુ પણ તણાવભરી છે. BMCના અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે આ મામલે ચર્ચા કરી રહ્યા છે. મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઊતર્યા હતા ખરેખર મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી અને એને આજે તોડી પાડવાની હતી. BMC અધિકારીઓની કાર્યવાહી પહેલાં જ ગઈકાલે રાત્રે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઊતર્યા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે. કોંગ્રેસના સાંસદ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યા મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે અને એની સામેની કાર્યવાહી ખોટી છે. મુંબઈ ઉત્તર-મધ્યનાં સાંસદ પ્રો. વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેજી સાથે આ મામલે તેમણે મુલાકાત કરી છે અને ધારાવીની મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદને બીએમસી દ્વારા આપવામાં આવેલી ડિમોલિશન નોટિસ અંગે લોકોની લાગણીઓ વિશે તેમને જાણ કરી હતી. વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે તેમની મુખ્યમંત્રી સાથે સકારાત્મક વાતચીત રહી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરશે અને આશ્વાસન આપ્યું કે ડિમોલિશન પ્રક્રિયા રોકવામાં આવશે. મસ્જિદ પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર
ધારાવીના જે 90 ફૂટ રોડ પર આ મસ્જિદ બની છે, એનાથી પોલીસ સ્ટેશન માત્ર 100 મીટર દૂર છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે BMCએ ગયા વર્ષે પણ મસ્જિદ સમિતિને નોટિસ મોકલી હતી, પરંતુ તેમ છતાં કોઇ ઉકેલ મળ્યો નહોતો. અહીં કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ પણ આ કાર્યવાહીના વિરોધમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. ગાયકવાડે દાવો કર્યો હતો કે મુખ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે ડિમોલિશનનું કામ બંધ કરવામાં આવશે. 1882માં અંગ્રેજોએ ધારાવી વસાવી હતી, ફિલ્મોથી લોકપ્રિયતા વધી
એશિયાની સૌથી મોટી બસ્તી ધારાવી અંગ્રેજો દ્વારા 1882માં સ્થાપિત કરવામાં આવી હતી. એની સ્થાપના મજૂરોને આવાસ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. ધીરે ધીરે અહીં લોકો વધવા લાગ્યા અને ઝૂંપડપટ્ટીઓ બની. અહીંની જમીન સરકારી છે, પરંતુ લોકોએ ઝૂંપડપટ્ટી બનાવી છે. ધારાવીમાં કેટલા લોકો રહે છે એનો કોઈ ડેટા નથી. એક અંદાજ મુજબ અહીં લગભગ 10 લાખ લોકો નાની ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ ઝૂંપડપટ્ટીમાં 13 હજારથી વધુ નાના ઉદ્યોગો ચાલે છે. શેરીઓ એટલી સાંકડી છે કે કોઈ બીમાર પડે તો સ્ટ્રેચર પણ અંદર જઈ શકતું નથી. ધારાવીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર લગભગ 23 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. અદાણી ગ્રુપને જુલાઈ 2023માં આ પ્રોજેક્ટ મળ્યો હતો, જેમાં 60 હજારથી વધુ પરિવારોને મફતમાં નવાં મકાનો મળશે. શરત એ છે કે પરિવાર 1 જાન્યુઆરી 2000 પહેલાં ધારાવીમાં રહેતો હોવો જોઈએ. 2008માં ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' રિલીઝ થયા બાદ આ વિસ્તારને લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા. આ પછી એ ફિલ્મ ગલી બોયમાં જોવા મળી હતી. ભારતના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનાં જીવનની ઝલક મેળવવા માટે ઘણા પ્રવાસીઓ અહીં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.