રાજકોટની કોટેચા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. - At This Time

રાજકોટની કોટેચા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.


રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાલક્ષી શિક્ષણની દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને રાજકોટ શહેરની શ્રી કે.જે.કોટેચા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે વ્યાવસાયિક સંસ્થા અમદાવાદ(રાયખડ) ના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, રાજકોટ અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૧ અને ૧૨ની મળીને આશરે ૩૪૦ વિદ્યાર્થિનીઓને કારકિર્દીમાં ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ આત્મનિર્ભર બનવા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શાળા સલાહકાર ભાવનાબેન ભોજાણીએ વિદ્યાર્થિનીઓને જીવનમાં દરેક પરિસ્થિતિ સામે લડવા મજબુત મનોબળ રાખવું જોઈએ. રમતગમત, વિજ્ઞાન, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સંઘર્ષ કરીને સફળતા હાંસિલ કરેલા મહાનુભાવોના ઉદાહરણ આપીને ઉપસ્થિત સર્વેને પ્રેરિત કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓએ પોતાનામાં રહેલી ક્ષમતાને પારખી તે ક્ષમતાને સિદ્ધ કરવા તમામ પ્રયાસો કરવા જોઈએ. આ પ્રસંગે રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલર રાજેશભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દીમાં યોગ્ય દિશા અપનાવવા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું. અને એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. વિદેશ રોજગાર સેલના કાઉન્સેલર હમીરભાઈ ચૌહાણે વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે પાસપોર્ટ, વિઝા અને વિદેશ અભ્યાસ માટે લોન અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલર તન્વીબેન ત્રિવેદીએ વિદ્યાર્થિનીઓને યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી., સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ સેમિનારમાં શાળાના ટ્રસ્ટી ભાનુપ્રસાદ પંડ્યા, આચાર્ય વિજ્ઞાબેન જોશી, શિક્ષકઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.