શુક્રવારે એસ.પી.એસ. સંકુલ દ્વારા છાત્રાઓ માટે સ્મશાનમાં સેમિનારનું આયોજન, શુક્રવારે જસદણ સ્મશાનમાં વિજ્ઞાન જાથાના અદભુત કાર્યક્રમ યોજાશે - At This Time

શુક્રવારે એસ.પી.એસ. સંકુલ દ્વારા છાત્રાઓ માટે સ્મશાનમાં સેમિનારનું આયોજન, શુક્રવારે જસદણ સ્મશાનમાં વિજ્ઞાન જાથાના અદભુત કાર્યક્રમ યોજાશે


૪૫૦ છાત્રાઓ મોક્ષધામમાં અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો આપશે. છાત્રાઓ નનામીને કાંધ, મશાલ, ભૂત-પ્રેત વેશ પરિધાન, માથા ઉપર સળગતી સગડી: જાથાના ચેરમેન અંધશ્રદ્ધા સામેના નવા કાયદાથી માહિતગાર કરશે.

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
મેલીવિદ્યાને અગ્નિદાહ આપશે, સ્મશાનમાં ચા-નાસ્તાનું આયોજન, સફાઈ ઝુંબેશ, રાસ-ગરબા, રમત-ગમત સ્મશાનમાં યોજાશે.

જસદણ પોલીસ સ્ટેશનનો ખાસ બંદોબસ્ત.

જસદણ મોક્ષધામમાં સૌરાષ્ટ્ર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના એસ.પી.એસ. સંકુલ દ્વારા ૪૫૦ છાત્રાઓનો સેમિનારમાં અંધશ્રદ્ધા નિવારણ સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાવાના છે. ભારત જન વિજ્ઞાન જાથા સ્મશાનમાં આશ્ચર્યચકિત કાર્યક્રમો આપવાના છે. છાત્રાઓને અંધશ્રદ્ધા સામેના નવા કાયદા અને દ્રઢ મનોબળ માટે કૌતુકભર્યા પ્રયોગો રજૂ કરવામાં આવશે. જસદણ પોલીસ સ્ટેશનનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન સંકુલના કમલેશભાઈ હિરપરા, કેવલ હિરપરા, જે. ડી. ઢોલરીયા મોક્ષધામ, આગેવાનો, અધિકારીઓની હાજરીમાં કરવામાં આવશે. સ્મશાનમાં સેમિનાર સવારથી જ પ્રારંભ થવાનો છે. વર્ષો જુની માન્યતા પરંપરા, કુરિવાજો, અંધશ્રદ્ધાનું ખંડન કરવા અવનવા કાર્યક્રમો યોજાવાના છે. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા મુખ્ય વક્તા સાથે અંધશ્રદ્ધા સામે નવા કાયદાનું સ્વરૂપથી માહિતગાર કરી છાત્રાઓ, વાલી, જનસમાજમાં પડેલો ભય, ડર, ભ્રમ દૂર કરવાના અદ્દભુત કાર્યક્રમોનું નિદર્શન કરવામાં આવશે. મેલીવિદ્યા, આસુરી શક્તિ, દિવ્ય શકિત, ઉપાસના, સાધના જેવી કનડગત વિધિ-વિધાન, કુરિવાજોનું ખંડન કરી દ્રઢ મનોબળ સાથે વૈજ્ઞાનિક વલણ કેળવવાના કાર્યક્રમો આપવામાં આવશે. નવાંગતુક વિચારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
વિશેષમાં પંડયા જણાવે છે કે છાત્રાઓ મેલીવિદ્યાની નનામી ઉપાડશે, મશાલ સરઘસ, માથા ઉપર સળગતી સગડી સાથે ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી રહસ્યોની જાણકારી આપવામાં આવશે. ભ્રામકતા, રદી વિચારો, કુરિવાજાને તિલાંજલિ આપવામાં આવશે. છાત્રાઓ સ્મશાનમાં ચા-નાસ્તો કરી નનામી સંબંધી અંધશ્રદ્ધા સામે કૌતુકનું સર્જન કરશે. છાત્રાઓમાં અંધશ્રદ્ધા ભય-ડર કાઢવાના નવતર કાર્યક્રમો અપાશે. શુક્રવાર તા. ૧૩ મી એ સવારે ૧૧ કલાકે મોક્ષધામમાં જ્ઞાન-વિજ્ઞાનનો આબેહુબ કાર્યક્રમ છે. ગામમાં જબરો ઉત્સાહ છે. જાથાની વિચારધારા અને તર્કને પ્રાધાન્ય આપતા લોકોએ હાજરી આપવા અનુરોધ છે. વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારોનું ખંડન કરી ૨૧ મી સદીની માનસિકતા બતાવવામાં આવશે. અંધશ્રદ્ધાથી માનવજાતને બરબાદી મળી છે તેને દેશવટો આપવા જાથા ગામેગામ આયોજન કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.