મહેર સમાજ ઝુંડાળા ખાતે મહેર શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની ૧૪૦મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાજલી અર્પણ કાર્યક્રમ યોજાયો - At This Time

મહેર સમાજ ઝુંડાળા ખાતે મહેર શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની ૧૪૦મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાજલી અર્પણ કાર્યક્રમ યોજાયો


૯ ઓગસ્ટ્ના મહેર વિદ્યાર્થી ભવન એરપોર્ટ રોડ, પોરબંદર ખાતે નિશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ તેમજ વૃક્ષારોપણ થશે

ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૫/૦૮/૨૦૨૪
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૪/૦૮/૨૦૨૪ના રોજ પૂજ્ય માલદેવ બાપુની ૧૪૦મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે હરીશ ટોકીઝ પાસે આવેલ માલદેવ બાપુ ચોક ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પૂજ્ય માલદેવ બાપુની કર્મભૂમિ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા પોરબંદર ખાતે આવેલ પૂજ્ય બાપુના મંદિરે પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દિપ પ્રજવલિત કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ ભાવાંજલિ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ઝુંડાળા મહેર સમાજના પ્રમુખશ્રી બાબુભાઈ બોખીરીયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પૂજ્ય માલદેવ બાપુએ કરેલા શૈક્ષણિક અને સામાજિક કાર્યોને યાદ કરી પૂજ્ય બાપુના વિચારો તેમજ તેમણે કરેલા સતકાર્યોને આત્મસાધ કરી જ્ઞાતિ વિકાસના કાર્યોમાં દરેક જ્ઞાતિજનોએ સાથ સહકાર આપવા જણાવેલ. આજના આ વિકસી રહેલા યુગમાં આપણો મહેર સમાજ પણ અન્ય સમાજ સાથે કદમતાલ મિલાવી સર્વાંગી વિકાસ માટે કાર્યશીલ પ્રયાસ કરવા જોઈએ.
આ પસંગે પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ પૂજ્ય બાપુની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે પૂજ્ય માલદેવ બાપુએ જ્ઞાતિ વિકાસ માટે અનેક પ્રેરણાદાયી કાર્યો કરેલા છે. આ કાર્યોથી પ્રેરણા લઈ તેમના જીવનના સેવા, સમર્પણ અને શિક્ષણના વિચારોને એક સંકલ્પ તરીકે દરેક જ્ઞાતિજનાએ પોતાના જીવનમાં ઉતારી એક આત્મસંતોષના ભાગરૂપે કાર્યો કરવા જોઈએ. તેમજ આપણી આવનારી પેઢી માટે આપણે કરેલા કાર્યો એક ઉદાહરણરૂપ બને તેવા પ્રયાસો આપણે સૌએ સાથે મળીને કરવા જોઈએ.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા હાલ દેશમાં હોવાથી પૂજ્ય માલદેવ બાપુની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ સંદેશો પાઠવ્યો હતો. આ સંદેશો સંસ્થાના ઉપપ્રમુખશ્રી નવઘણભાઈ મોઢવાડીયાએ વાંચી સંભળાવ્યો હતો. આ પુષ્પાંજલિ સંદેશામાં જણાવેલ કે પૂજ્ય માલદેવ બાપુએ જ્ઞાતિના સર્વાંગી વિકાસ માટે કંડારેલી કેડીને આપણે સૌએ સાથે મળીને આગળ તપાવી જોઈએ અને આપણી આવનારી પેઢી માટે જ્ઞાતિના સર્વાંગી વિકાસ અને મજબૂત સંગઠનની ભાવના વધુ પ્રજવલિત કરવા આહવાન કરેલ.
સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉ વિરમભાઇ ગોઢાણીયા એ આજના શુભ દિવસે પોતાના વ્યક્તવ્યમાં દરેક સમાજના વિકાસ માં શિક્ષણ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે આ બાબત ને ઘ્યાનમાં લઇને જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ પર ભાર મૂકી પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જામનગરથી પધારેલા લાખાભાઈ કેશવાલાએ પણ પૂજ્ય માલદેવ બાપુએ કરેલા જ્ઞાતિ વિકાસના કાર્યોને યાદ કરી જ્ઞાતિજનોને એકબીજાના સહકારથી જ્ઞાતિ વિકાસના કાર્ય કરવા અપીલ કરી પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ માલદેવજીભાઇ ઓડેદરાએ પણ પૂજ્ય પૂજ્ય માલદેવ બાપુએ જ્ઞાતિમાં કરેલા શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમને આગળ ધપાવા તેમજ જ્ઞાતિના શૈક્ષણિક વિકાસમાં જ્ઞાતિજનોને તન મન અને ધનથી સાથ સહકાર આપવા અપીલ કરી હતી. પોરબંદર ખાતે કાર્યરત શ્રી મહેર વિદ્યાર્થી ભવનના વિકાસ અર્થે જ્ઞાતિજનોને પોતાના પરિવારના સભ્યોના જન્મદિવસ તેમજ લગ્ન વર્ષગાંઠ નિમિતે ફક્ત રૂ.૧૦૦૧નું અનુદાન આપવા અપીલ કરી હતી તેમજ જ્ઞાતિના દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવતા શૈક્ષણિક અનુદાનની સંસ્થા દ્વારા દરવર્ષે પુસ્તક પ્રકાશિત કરવામાં આવતા પુસ્તક વિશે પણ જ્ઞાતિજનોને માહિતગાર કર્યા હતા
આજના પુષ્પાંજલિ કાર્યક્રમમાં પૂજ્ય માલદેવ બાપુના પૌત્ર રણજીતભાઈ કેશવાલા, પૌત્રી શ્રીમતી શાંતાબેન ઓડેદરા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, શ્રી ભરતભાઈ માલદેવજીભાઇ ઓડેદરા, ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા, સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખિસ્તરીયા, કારાભાઈ કેશવાલા, રામભાઈ ઓડેદરા, અરશીભાઈ ખુંટી, ઝુંડાળા સમાજના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરા, સહમંત્રી ભીમભાઇ ગોરસીયા, શક્તિ સેનાના પ્રમુખશ્રી કરસનભાઈ ઓડેદરા, તેમજ કાર્યકર્તાઓ, ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખશ્રી લીલાભાઈ પરમાર તેમજ કાર્યકર્તાઓ, બરડા વિકાસ સમિતિના ઉપપ્રમુખ આવડાભાઈ ઓડેદરા તેમજ મહિલા મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખશ્રી રમાબેન ભુતિયા તેમજ દેવીબેન ભૂતિયા,રેખાબેન આગઠ,મંજુબેન બાપોદરા, આયોજક સંસ્થાના ટ્રસ્ટીગણમાં ભીમભાઈ ઓડેદરા, રાયદેભાઈ મોઢવાડીયા, દેવાભાઇ ભૂતિયા, અરજનભાઈ બાપોદરા, વિરમભાઈ ઓડેદરા, ખીમભાઈ બાપોદરા, મસરીજીભાઈ ઓડેદરા, વિંજાભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા તેમજ સંસ્થાના કાર્યકર્તાઓ અને જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજ્ય માલદેવ બાપુની ૧૪૦ મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી જ્ઞાતિ વિકાસના કાર્યોને આગળ ધપાવા નેમ લીધી હતી. તેમજ પૂજ્ય માલદેવ બાપુની સ્મૃતિમાં સંસ્થા દ્વારા તારીખ ૦૯-૦૮-૨૦૨૪ના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન એરપોર્ટ રોડ, પોરબંદર ખાતે નિશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ તેમજ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે. આ નેત્રયજ્ઞ કેમ્પમાં વીરનગરના નિષ્ણાત ડોક્ટરોની ટીમ વિનામૂલ્યે સેવા આપશે તો પોરબંદર વિસ્તારના દરેક જ્ઞાતિના લોકોને આ નેત્રયજ્ઞ કેમ્પનો લાભ લેવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે તેમજ નામની નોંધણી માટે આપેલ મોબાઈલ નંબર ૯૯૭૪૮ ૦૮૯૦૦ પર સંપર્ક કરવા સંસ્થા ની યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.