ઉછીના પૈસા બાબતે મિત્રએ જ મિત્રને છરી મારી દીધી - At This Time

ઉછીના પૈસા બાબતે મિત્રએ જ મિત્રને છરી મારી દીધી


શહેરનાં નાના મૌવા મેઈન રોડ લક્ષ્મીનગરમાં રહેતાં યુવક પર પૈસા બાબતે તેનાં જ મિત્રએ છરી મારી દીધી હતી. બાદ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. માલવિયા નગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી દેવરાજભાઈ અનિલભાઈ ડોડીયા (ઉ.વ.27, રહે. નાના મૌવા મેઈન રોડ લક્ષ્મીનગર શેરી નં. 36 રાજકોટ) એ હાર્દિક ભટ્ટ, પાર્થ મહેતા, રાજેશ પટેલ તથા યશ મહેતા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.24/06/2024 ના રાત્રીના અગીયારેક વાગ્યાના આસપાસ હું તથા મારો મિત્ર મેહુલ ચૌહાણ નકળંગ હોટલની બાજુમાં દાસી જીવણ પરામાં અમે બંને બેઠા હતા.
ત્યારે મારા મિત્ર હાર્દિક ભુપતભાઈ ભટ્ટ, પાર્થ મહેતા, રાજેશ ઉર્ફે રાજુ પટેલ તથા યશ મહેતા આ ચારેય મારી પાસે આવેલ. અને હાર્દિક પટેલે મને કહેલ કે તને અગાઉ હાથ ઉછીના પૈસા આપેલ તે ક્યારે પરત કરીશ. મેં કહેલ કે હાલ મારી પાસે સગવડતા નથી હું તને પછી આપી દઈશ કહેતા હાર્દિક ભટ્ટ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને અપશબ્દો આપવાં લાગેલ.
અને હાર્દિકની સાથે આવેલા તેના ત્રણેય મિત્ર પણ મને અપશબ્દો આપવાં લાગેલ. અને હાર્દિકે છરી કાઢી મને છરી મારી દીધેલ. અને તેની સાથેના ત્રણેય જણા મને ધોકા વડે મારવા લાગેલ. બાદ આ ચારેય ત્યાંથી નાસી ગયા હતા. બાદ 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માલવિયા નગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.