કોંગ્રેસની કભી હા કભી ના:એક્ઝિટ પોલની ડિબેટમાં યુ-ટર્ન, હવે કહ્યું ભાગ લઈશું, ખડગેનો દાવો- I.N.D.I.A. 295 બેઠક જીતશે, મમતા મિટિંગમાં ના આવ્યા - At This Time

કોંગ્રેસની કભી હા કભી ના:એક્ઝિટ પોલની ડિબેટમાં યુ-ટર્ન, હવે કહ્યું ભાગ લઈશું, ખડગેનો દાવો- I.N.D.I.A. 295 બેઠક જીતશે, મમતા મિટિંગમાં ના આવ્યા


લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના એક કલાક પહેલાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે I.N.D.I.A.ને ઓછામાં ઓછી 295 બેઠક મળશે. ગઠબંધનની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ બેઠક અઢી કલાકથી વધુ ચાલી. અમે નક્કી કર્યું છે કે અમે એક્ઝિટ પોલની ડિબેટમાં ભાગ લઇશું. તેમણે કહ્યું હતું કે અમે ચૂંટણી દરમિયાન નબળાઈઓ અને શક્તિઓની ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધનને 295 અને એનાથી વધુ બેઠકો મળશે. અમે અનુમાન લગાવ્યું છે કે એ આનાથી ઓછી નહીં આવે. અમારા તમામ નેતાઓને પૂછ્યા બાદ આ આંકડો મળ્યો છે અને આ આંકડામાં કોઈ ફેરફાર નહિ હોય. ખડગેએ મીડિયાને કહ્યું, 'અમે યુનાઇટેડ છીએ, તમે અમને ડિવાઈડ કેમ કરી રહ્યા છો. અમે બધા એકસાથે છીએ. અમે એક છીએ અને એક રહીશું, અમને વિભાજિત કરવાનો પ્રયાસ કરશો નહીં. I.N.D.I.A.ની બેઠકમાં 23 નેતાએ ભાગ લીધો હતો. મમતા બેનર્જીએ આ બેઠકમાં ભાગ લીધો નહોતો. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોની તસવીર તેજસ્વી યાદવે કહ્યું- બીજેપીની ફિલ્મ પહેલા તબક્કામાં જ ​​​​​ફ્લોપ થઈ ગઈ I.N.D.I.A.ની બેઠકમાં 23 નેતાએ ભાગ લીધો
મલ્લિકાર્જુન ખડગે (CON.), સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ (SP), રામ ગોપાલ યાદવ, શરદ પવાર (NCP-SCP), જિતેન્દ્ર આવ્હાડ, અરવિંદ કેજરીવાલ (AAP), ભગવંત માન, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, ટી.આર બાલુ (DMK), તેજસ્વી યાદવ (RJD), સંજય યાદવ, ચંપાઈ સોરેન (JMM), કલ્પના સોરેન (JMM), ફારૂક અબ્દુલ્લા (JKNC), ડી. રાજા (CPI), સીતારામ યેચુરી (CPI-M), અનિલ દેસાઈ શિવસેના (UBT), દિપાંકર ભટ્ટાચાર્ય CPI (ML) અને મુકેશ સાહની (VIP). મમતાએ કહ્યું- મારી પ્રાથમિકતા રાહત કેન્દ્ર કોલકાતામાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે INDI બ્લોકની બેઠક 1 જૂનના રોજ નક્કી કરવામાં આવી છે. મેં કહ્યું હતું કે હું નહીં આવી શકું, મારા ઘરમાં 10 સીટ માટે ચૂંટણી છે. આ જ દિવસે પંજાબ, અખિલેશના રાજ્ય યુપી અને બિહારમાં પણ ચૂંટણી છે. સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી ચાલે છે. દિવસના અંતે કોઈ લાઈનમાં જોડાય તો રાતના 10 વાગી જાય છે, તો હું આ બધું છોડીને કેવી રીતે જઈ શકું? મમતાએ એમ પણ કહ્યું હતું કે એક બાજુ ચક્રવાત છે, રાહત કેન્દ્ર છે, બીજી બાજુ ચૂંટણી, અમારે બધું જ કરવું પડશે, પરંતુ મારી પ્રાથમિકતા રાહત કેન્દ્ર છે. આપણે તેમની (લોકોની) દેખરેખ કરવી પડશે, ઘર બનાવવું પડશે અને મદદ કરવી પડશે. હું અહીં મિટિંગ કરી રહી છું અને મને ખબર છે કે લોકો પાસે બધું બહાર પડેલું છે. આ લાગણીની વાત છે. આજે પશ્ચિમ બંગાળમાં કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, જાદવપુર, દમદમ, બારાસત, બસીરહાટ, જયનગર, મથુરાપુર અને ડાયમંડ હાર્બર બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ પાર્ટીઓ છે I.N.D.I.A. નો ભાગ
ગઠબંધનમાં કોંગ્રેસ, TMC, DMK, AAP, RJD, JMM, NCP (શરદ જૂથ), શિવસેના (ઉદ્ધવ જૂથ), SP, NC, PDP, CPM, CPI, MDMK, KMDK, VCK, RSP, COI (ML), ફોરવર્ડ બ્લોક, IUML, કેરળ કોંગ્રેસ (જોસેફ), કેરળ કોંગ્રેસ (મણિ), અપના દળ (કામેરાવાદી) અને MMKનો સમાવેશ થાય છે. અગાઉ કોંગ્રેસે એક્ઝિટ પોલ TV ડિબેટમાં જવાનો ઈનકાર કર્યો હતો કોંગ્રેસે એક્ઝિટ પોલ અંગેની ટીવી ડિબેટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે કોંગ્રેસ ટીઆરપીની ગેમમાં સામેલ થવા માગતી નથી. ખેડાએ વધુમાં જણાવ્યું હતું કે મતદાનનાં પરિણામો મશીનોમાં લોક થઈ ગયાં છે. પરિણામો 4 જૂને દરેકની સામે આવી જશે. આ પછી કોંગ્રેસ પાર્ટી ટીવી ડિબેટમાં ભાગ લેશે. કોંગ્રેસના આ નિર્ણય પર કટાક્ષ કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડશે, તેથી તેઓ મીડિયાનો સામનો કરી શકશે નહીં તેમજ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે વિપક્ષે પરિણામો પહેલાં જ હાર માની લીધી છે. શાહે કહ્યું- કોંગ્રેસને પ્રચંડ હારનો સામનો કરવો પડશે ​​​​​​​અમિત શાહે કહ્યું- કોંગ્રેસે પોતાની બહુમતી માટે આખી ચૂંટણી દરમિયાન જોરદાર પ્રચાર કર્યો હતો, પરંતુ હવે તેઓ પરિસ્થિતિ પણ જાણે છે કે આવતીકાલના મતદાન બાદ એક્ઝિટ પોલમાં તેમને જોરદાર હારનો સામનો કરવો પડશે. કોંગ્રેસ કયા મોઢે મીડિયાનો સામનો કરે? એટલા માટે કોંગ્રેસ આ સમગ્ર એક્સર્સાઈઝને એ કહીને નકારી રહી છે કે એક્ઝિટ પોલનો કોઈ અર્થ નથી. કોંગ્રેસ દરેક વખતે એક્ઝિટ પોલમાં ભાગ લે છે, પરંતુ આ વખતે તે પોતાની હાર પચાવવામાં અસમર્થતાને કારણે એનો બહિષ્કાર કરી રહી છે. શાહે વધુમાં કહ્યું હતું કે હું કોંગ્રેસના નેતાઓને કહેવા માગું છું કે શાહમૃગ વૃત્તિથી કોઈને ફાયદો થતો નથી. હારનો હિંમતપૂર્વક સામનો કરો, આત્મનિરીક્ષણ કરો અને આગળ વધો. નડ્ડાએ કહ્યું- કોંગ્રેસે હાર માની લીધી છે ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે એક્ઝિટ પોલમાં ભાગ ન લેવાનો કોંગ્રેસનો નિર્ણય દર્શાવે છે કે કોંગ્રેસે હાર માની લીધી છે. આમાં કંઈ નવું નથી. સામાન્ય રીતે, કૉંગ્રેસ એક્ઝિટ પોલમાંથી બહાર નીકળી જાય છે, જ્યારે તેને લાગે છે કે પરિણામો તેની તરફેણમાં નહીં આવે. કોંગ્રેસનો દંભ કોઈનાથી છૂપો નથી. તેથી સાતમા તબક્કામાં તેમના માટે કોઈએ પોતાનો મત બગાડવો જોઈએ નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.