ડભોઇ તાલુકાના પણસોલી ગામનાં નયનરમ્ય તળાવમાંથી બતકોની ચોરી થતાં પ્રકૃતિપ્રેમી ગ્રામજનોને આઘાત - At This Time

ડભોઇ તાલુકાના પણસોલી ગામનાં નયનરમ્ય તળાવમાંથી બતકોની ચોરી થતાં પ્રકૃતિપ્રેમી ગ્રામજનોને આઘાત


રિપોર્ટ નિમેષ સોની, ડભોઈ

ડભોઇ તાલુકાના પણસોલી ગામે છેલ્લા કેટલા સમયથી ગામમાં બનાવાયેલાં નયનરમ્ય તળાવમાંથી કેટલાક ઈસમો બતકોની ઉઠાંતરી કરી રહયાં છે જેથી પ્રકૃતિપ્રેમી ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોને ભારે આઘાત લાગ્યો છે.
આ તળાવની અને તળાવમાં સ્વૈરવિહાર કરતાં બતકોની માવજત ડભોઇના પણસોલી ગામનાં વતની અને વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલ ( વકીલ ) ના માર્ગદર્શન અને સહકારથી ગામના આગેવાનો - ગ્રામજનો કરી રહ્યા છે. સાથે ગ્રામજનોના સહયોગથી મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ તળાવને નયનરમ્ય બનાવ્યા બાદ તળાવની આસપાસ વોક વે, બોટિંગ, સ્વિમિંગ પુલ, સિનિયર સીટીઝનો માટે બેસવાની સુંદર વ્યવસ્થા, નાનાં નાનાં ભૂલકાઓને રમત ગમતના સાધનો સહિત આધુનિક સગવડો ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલ દ્વારા ૧૫૦ ઉપરાંત બતક લાવી તળાવમાં છોડવામાં આવ્યા હતાં. જેથી આ સુવિધાઓથી પણસોલી ગામે આસપાસનાં ગામોમાંથી પણ મુલાકાતીઓ આ તળાવની મુલાકાતે આવતાં હતાં. આસપાસનાં પંથકનાં લોકોને આ તળાવનો સોનેરી ઈતિહાસ પણ ખબર હોવાથી મુલાકાતીઓની મુલાકાતો વધી હતી અને આ તળાવ સમગ્ર પંથકમાં પ્રસિધ્ધ બન્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા એક મહિનાથી અજાણ્યા ઈસમો દ્વારા આ તળાવમાંથી પચાસ ઉપરાંત બતક તેમજ નવ બચ્ચા અને ૧૦૦ જેટલા ઈંડાઓની પણ ચોરી કરી ફરાર થઈ ગયાં છે. ત્યારે આજરોજ આ બતકોની ગણતરી કરતા માલુમ પડ્યું હતું કે, હવે આ તળાવમાં માત્ર ૬૫ જેટલી જ બતક બાકી રહી છે. જેથી ગામમાં પણ આ બાબતે ઉહાપોહ થયો હતો અને તાપસ કરતા ગામમાં પણ આ બતકો બાબતે કોઈ પગેરું મળવા પામ્યું ન હતું. સ્થાનિક આગેવાન અશ્વિનભાઈ વકીલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, જે આ બતકો તેમજ બતકના બચ્ચાં અને ઈંડા લઇ ગયું હોય તે ઈસમો પ્રકૃતિના સૌંદર્યને ધ્યાનમાં લઈ પરત મૂકી જવા તેઓએ અંગત વિનંતી કરી હતી. આ સાથે તેઓએ સ્થાનિક ગ્રામચંજનોને પણ અપીલ કરી હતી કે, ગામનાં સૌદર્ય અને પ્રકૃતિને નુકસાન પહોચાડતા અજાણ્યા તત્વોની હિલચાલ સામે પૂરતી વોચ ગોઠવવી જોઈએે અને આવાં તત્વોને સત્વરે ઝડપી પાડવા જોઈએ.
9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.