જિલ્લાના પ્રખ્યાત જમજીર ધોધની આસપાસના અનઅધિકૃત દબાણ દૂર કરતું જિલ્લા વહીવટી તંત્ર - At This Time

જિલ્લાના પ્રખ્યાત જમજીર ધોધની આસપાસના અનઅધિકૃત દબાણ દૂર કરતું જિલ્લા વહીવટી તંત્ર


*જિલ્લાના પ્રખ્યાત જમજીર ધોધની આસપાસના અનઅધિકૃત દબાણ દૂર કરતું જિલ્લા વહીવટી તંત્ર*
-------
*દબાણ દૂર થતાં પ્રવાસીઓની સગવડતા અને સુગમતામાં વધારો થશે*
------
*ખેતી અને બિનખેતની રૂ.૬ કરોડની જમીન ખુલ્લી કરાઈ*
-------
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલ પ્રખ્યાત જમજીર ધોધની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. આ સ્થળે પાર્કિંગની અપૂરતી સુવિધા તેમજ સાંકડા રસ્તાના કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓ પડતી હતી.

આ બાબત ધ્યાનમાં આવતાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જમજીર ધોધની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ જગ્યાની આસપાસની સરકારી જમીનના અનઅધિકૃત દબાણો આઇડેન્ટીફાય કરી તા. ૧૪/૦૬/૨૦૨૪ના રોજ જિલ્લા જમીન દફતર નિરીક્ષકશ્રી, ગીર સોમનાથ દ્વારા માપણી કરાવી, સરકારી સ.નં.૪૯ પૈકીની જમીનની હદ નક્કી થતાં તેમાં જુદા-જુદા આસામીઓના ખેતી અને બિનખેતી વિષયક દબાણો ધ્યાને આવ્યાં હતાં.

આ અનઅધિકૃત દબાણો ખુલ્લા કરવા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ આજ તા:-૧૭/૦૬/૨૦૨૪ના રોજ ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામે આવેલ પ્રસિદ્ધ જમજીર ધોધની આસપાસના સરકારી સર્વે-૪૯ પૈકીની જમીનના ખેતી તથા બિનખેતી વિષયક દબાણો દૂર કરવા નાયબ કલેક્ટરશ્રી,ઉના, મામલતદારશ્રી, ગીર ગઢડા તેમજ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં કુલ અંદાજીત હે.૦૮-૯૦-૩૪ ચો.મી. જમીનના કુલ-૩ આસામીના દબાણો ખુલ્લા કરવામાં આવ્યાં હતાં. જેની હાલની અંદાજિત બજાર કિંમત રૂ. ૬,૦૦,૦૦,૦૦૦(અંકે રૂપિયા છ કરોડ )જેટલી થવા જાય છે.

આ દબાણો દૂર થતા પ્રવાસીઓ તેમજ રાહદારીઓને પાર્કિંગ અને પહોળા રસ્તાની સુવિધા ઉપલબ્ધ થશે.
-------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.