૧૮-પંચમહાલ લોકસભા મતવિસ્તારની મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ,નસીરપુર ખાતે થશે - At This Time

૧૮-પંચમહાલ લોકસભા મતવિસ્તારની મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ,નસીરપુર ખાતે થશે


# પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પૂર્વ તૈયારીઓને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી,ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

# ૧૮-પંચમહાલ સંસદીય મત વિસ્તારની મતગણતરી માટે ૫૪૦થી વધુ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે

# સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ કુલ ૧૫૫ રાઉન્ડમાં મતગણતરી થશે

# કુલ ૧૧,૧૬,૧૭૧ ઈ.વી.એમ.ના મતો અને ૧૫,૯૭૨ પોસ્ટલ બેલેટના મતોની મતગણતરી થશે

ગોધરા

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ની ૧૮-પંચમહાલ બેઠકની મતગણતરી ઇજનેરી કોલેજ,નસીરપુર,તાલુકો-ગોધરા ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ સવારે ૮-૦૦ વાગ્‍યાથી શરૂ થશે.પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈને કલેકટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,ચૂંટણીતંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.૧૮-પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ ૧૫૫ રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે.જેમાં કુલ ૧૧,૧૬,૧૭૧ ઇ.વી.એમ.ના મતો અને
૧૫,૯૭૨ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે જ્યારે અત્યારસુધી ૭૦૮ સર્વિસ વોટર નોંધાયા છે.

તેમણે જણાવ્યું કે,સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે.મતગણતરી માટે કુલ ૫૪૦થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.કાયદો અને વ્યસ્થા માટે ત્રણ લેયરમાં સિક્યુરિટી ગોઠવવામાં આવશે.જે માટે ૫ ડી.વાય.એસ.પી,૧૦ પી.આઈ,૩૮૪ પોલીસ જવાનો તથા ૩૫ સી.આઇ.એસ.એફ અને એસ.આર.પી જવાનોની ફાળવણી કરવામાં આવી છે.

એક વિધાનસભા મત વિસ્‍તાર દીઠ ૧૪ ટેબલ એમ કુલ સાત વિધાનસભાના મળી કુલ ૯૮ ટેબલ ઈ.વી.એમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગથી ૩૭ ટેબલ પર મતગણતરી હાથ ધરાશે.૧૮-પંચમહાલ લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના થનાર રાઉન્‍ડની વિગતો અંગે જણાવ્યું કે,૧૧૯- ઠાસરા વિધાનસભા માટે ૨૨ રાઉન્‍ડ, ૧૨૧-બાલાસિનોર માટે ૨૪ રાઉન્‍ડ, ૧૨૨ લુણાવાડા માટે ૨૬ રાઉન્‍ડ, ૧૨૪ શહેરાના ૨૧ રાઉન્‍ડ, ૧૨૫ મોરવા હડફના ૧૮ રાઉન્‍ડ, ૧૨૬ ગોધરાના ૨૧ રાઉન્‍ડ અને ૧૨૭ કાલોલના ૨૩ રાઉન્‍ડ મળીને કુલ ૧૫૫ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.

મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે પંચમહાલ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમારે પૂર્વ તૈયારીઓને લઈને સબંધિત અધિકારીશ્રીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજીને ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ વિવિધ કામગીરીની સોંપણી કરાઈ છે. જેમાં મેડીકલ ટીમ અને નગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઈ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ.પી.કે.ડામોર,નાયબ માહિતી નિયામક સુશ્રી પારુલ મણિયાર સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.