શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, કાંદિવલી (ઈસ્ટ) અંતર્ગત 500થી અધિક સામૂહિક વર્ષીતપ આરાધના - At This Time

શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, કાંદિવલી (ઈસ્ટ) અંતર્ગત 500થી અધિક સામૂહિક વર્ષીતપ આરાધના


શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, કાંદિવલી (ઈસ્ટ) અંતર્ગત 500થી અધિક સામૂહિક વર્ષીતપ આરાધના

મુંબઈ શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, દામોદરવાડી સામે, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (ઈસ્ટ)ના આંગણે 540 જેટલા આરાધકો સામૂહિક વર્ષીતપની આરાધના કરી રહ્યા છે.આ તપ જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ (આદિનાથ) ભગવાને કરેલ હતો તથા આ જ શ્રી સંઘમાં શંત્રુજય મહાતીર્થના ઋષભદેવની પ્રતિકૃતિ સમ આબેહુબ શ્રી શત્રુંજય આદિનાથ દાદા બિરાજમાન છે. તેમના અનુકરણરુપે 540 આરાધકોએ ફાગવણ વ - 8, તા. 2-4-2024થી 400 દિવસની આ વિશિષ્ટ તપશ્ચર્યાનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી પ્રારંભ કર્યો છે.
આ તપશ્ચર્યામાં એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસણું એટલે કે દિવસમાં બે વખત આહાર લેવાનો હોય છે, જેમાં સવારનું બિયાસણું શ્રીસંઘ તરફથી સામૂહિક રીતે ખૂબ જ ભક્તિભાવથી દામોદરવાડી ખાતે કરાવવામાં આવે છે જેમાં માત્ર સંઘના જ નહીં પણ સમગ્ર કાંદિવલી (ઈસ્ટ) તથા આસપાસના વિસ્તારના 540 પુણ્યાત્માઓ આ તપશ્ચર્યામાં જોડાયેલા છે.
શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વીતરાગવલ્લભવિજયજી મહારાજાની શુભપ્રેરણા અને માર્ગદર્શનથી આ વિશાળ સંખ્યામાં સામૂહિક વર્ષીતપના મંડાણ થયા છે.
ગત વર્ષના તેઓશ્રીના યશસ્વી અને ઐતિહાસિક ચાતુર્માસ દરમિયાન 171 સિદ્ધિતપ આદિ અનેક સુંદર આરાધનાઓ થઈ અને અનેકવિધ અનુષ્ઠાનો દ્વારા શ્રીસંઘને અનેક આરાધનાઓમાં જોડીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધાર્યા.
તેમની કૃપા અને આશીર્વાદ થકી 540 આરાધકોને પણ વર્ષીતપની આરાધના સુખરુપે ચાલી રહી છે.
આ વર્ષીતપ અંતર્ગત 170 જેટલા બિયાસણાં સામૂહિક રીતે કરાવવામાં આવે છે. તેમાંથી લગભગ 80 બિયાસણાં થઈ ચૂક્યા છે. આ સર્વે તપસ્વીઓની શ્રીસંઘ દ્વારા ખૂબ ઉત્તમ ભક્તિ કરવામાં આવે છે તથા શ્રીસંઘના વહીવટદારો, કમિટી મેમ્બરો અને કાર્યકર્તાભાઈઓ ખડે પગે ઊભા રહીને આ તપસ્વીઓની ઉત્તમ સેવા કરી રહ્યા છે.
વર્ષીતપના આરાધકોને સામૂહિક રીતે શ્રી હસ્તિનાપુર તીર્થયાત્રા આયોજન જાન્યુઆરી 2025માં શ્રીસંઘ તરફથી ગોઠવાયું છે તથા અનુકૂળતાએ શ્રી શંખેશ્વર તથા શ્રી પાલીતાણા તીર્થની યાત્રાઓ પણ વિચારેલ છે.
તપસ્વીઓના રાજાશાહી પારણા વૈશાખ સુદ - 3 (અખાત્રીજ) 30 એપ્રિલ 2025માં વિશિષ્ટ મહોત્સવ આદિ દ્વારા સંપન્ન થશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.