ઇટલી પાસે 2 બોટ ડૂબી, 11 શરણાર્થીઓનાં મોત:26 બાળકો સહિત 64 ગુમ, આમાં ઘણા ખરા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિક હતા - At This Time

ઇટલી પાસે 2 બોટ ડૂબી, 11 શરણાર્થીઓનાં મોત:26 બાળકો સહિત 64 ગુમ, આમાં ઘણા ખરા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિક હતા


સોમવારે ઇટલીના દરિયાકાંઠે બે બોટ ડૂબી જતાં 11 લોકોના મોત થયા હતા અને 64 હજુ પણ લાપતા છે. જર્મનીની ચેરિટી સંસ્થા RESQSHIP એ જણાવ્યું કે, તેઓએ લેમ્પેડુસા ટાપુ નજીક 51 લોકોને બચાવ્યા. આ સમય દરમિયાન તેઓએ લાકડાની બોટના નીચલા ડેકમાંથી 10 મૃતદેહો બહાર કાઢ્યા. બચાવાયેલા લોકોને ઈટાલિયન કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યા હતા. બીબીસીના જણાવ્યા અનુસાર બોટ લિબિયાથી રવાના થઈ હતી. તેમાં સીરિયા, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓ હાજર હતા. આ પછી સોમવારે જ RESQSHIP એ ઇટલીના દક્ષિણ છેડે કેલેબ્રિયાના દરિયાકાંઠે 201 કિલોમીટરના અંતરે બીજી બોટ ડૂબતી જોઈ. 8 દિવસ પહેલા તુર્કીથી નીકળેલી આ બોટમાં આગ લાગી હતી, ત્યાર બાદ તે પલટી ગઈ હતી. અલજઝીરા અનુસાર બોટમાં સવાર 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 64 લોકો લાપતા છે. તેમની વચ્ચે 26 બાળકો છે. બોટમાં સવાર એક મહિલાનું મોત થયું હતું. ઇટલીના કોસ્ટ ગાર્ડે કહ્યું કે, તેઓ EU બોર્ડર એજન્સી ફ્રન્ટેક્સની મદદથી ગુમ થયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનના એક પરિવારનું મૃત્યુ
યુએનએ કહ્યું કે, બીજી બોટમાં બેઠેલા શરણાર્થીઓ ઈરાન, સીરિયા અને ઈરાકના હતા. મૃતકોમાં અફઘાનિસ્તાનનો એક પરિવાર પણ સામેલ છે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, બોટમાં કોઈ લાઈફ વેસ્ટ્સ નથી. જ્યારે તે ડૂબી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા કેટલાક જહાજોએ તેને મદદ પણ કરી ન હતી. માર્ચ યુએનના રિપોર્ટ અનુસાર, ભૂમધ્ય સમુદ્ર સૌથી ખતરનાક સ્થળાંતરનો માર્ગ છે. દર વર્ષે એક લાખથી વધુ શરણાર્થીઓ બોટ દ્વારા ઈટલી આવે છે. છેલ્લા 10 વર્ષમાં આ માર્ગ પરથી પસાર થતા 27 હજારથી વધુ શરણાર્થીઓના મોત થયા છે. તેમને બચાવવા માટે ઈટલીની સરકારે 'મેર નોસ્ટ્રમ' નામનું ઓપરેશન પણ શરૂ કર્યું હતું. તેનો હેતુ ભૂમધ્ય સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવવાનો હતો. આના દ્વારા ઈટાલિયન સરકારે અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ બચાવ્યા છે. 1 અઠવાડિયામાં શરણાર્થીઓની બોટ ડૂબવાની ત્રીજી મોટી દુર્ઘટના
આ પહેલા 12 જૂને કોંગોમાં એક નદીમાં મુસાફરોથી ભરેલી બોટ ડૂબી જતાં 80થી વધુ લોકોના મોત થયા હતા. બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. યમનમાં 11 જૂનના રોજ એડેનના દરિયાકાંઠે શરણાર્થીઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. જેમાં 49 લોકોના મોત થયા હતા અને 140થી વધુ લોકો ગુમ થયા હતા. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, બોટમાં 260 લોકો સવાર હતા. જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને સોમાલિયાના હતા. યુએનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એપ્રિલમાં બે અઠવાડિયામાં આવી અલગ-અલગ ઘટનાઓમાં 62થી વધુ લોકો માર્યા ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.