અમદાવાદ માં ગટરનાં ઢાંકણાં પાસે સુરક્ષા ગાર્ડ મુકાયા, સફાઈકર્મીઓએ 13-13 કલાક સુધી ગટરનાં ઢાંકણાં સાચવ્યા - At This Time

અમદાવાદ માં ગટરનાં ઢાંકણાં પાસે સુરક્ષા ગાર્ડ મુકાયા, સફાઈકર્મીઓએ 13-13 કલાક સુધી ગટરનાં ઢાંકણાં સાચવ્યા


અમદાવાદમાં સવારે ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ત્યારે આ પાણી ઉતારવા માટે કોર્પોરેશન દ્વારા પાણી ભરાઈ ગયાં હોય ત્યાં ગટર પાસે કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી છે. પાણી ન ઊતરે ત્યાં સુધી કર્મચારીએ ગટરનાં ઢાંકણાં પાસે ઊભું રહેવું. આ અંગે અસારવા વિસ્તારની ગટર પાસે ઊભેલા કર્મચારીએ જણાવ્યું હતું કે સવારે વરસાદ શરૂ થયો ત્યારથી અમારી નોકરી ચાલુ થઈ છે. મારી સાથે અન્ય કર્મચારીઓ બીજી ગટર પાસે ઊભા છે. જ્યાં સુધી વરસાદનું પાણી ઊતરે નહીં ત્યાં સુધી અમારે ગટર પાસે જ ઊભું રહેવાનું છે. કચરો આવે તો એને હટાવીને પાણી જવાનો રસ્તો કરવાનો હોય છે. છેલ્લા વરસાદમાં હું 13 કલાક ગટરનાં ઢાંકણાં પાસે ઊભો હતો.

પાણી ઊતરે નહીં ત્યાં સુધી ગટર પાસે ઊભા રહેવા ડ્યૂટી
ગત 10મી જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયું હતું. ત્યારે અમદાવાદમાં થયેલા વરસાદમાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી. આ સમય દરમિયાન શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ લાવવા માટે સફાઈકર્મીઓને તંત્ર દ્વારા વિચિત્ર આદેશ આપવામાં આવ્યો હતો. હાટકેશ્વર સર્કલ પાસે એક ગટર ખુલ્લી હોવાથી મ્યુનિસિપાલિટીએ ગટરનાં ઢાંકણાં પર બેરિકેડ્સ મૂકીને એક કર્મચારીને ઊભો રાખ્યો હતો. આ કર્મચારી પાણી ઊતરે નહીં ત્યાં સુધી ગટર પર ઊભા રહેવાની ડ્યૂટી અપાઈ હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊઠ્યા
ભારે વરસાદને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, કોર્પોરેશને હવે ગટરનાં ઢાંકણાં પાસે પણ માણસો ઊભા રાખવાની નોબત આવી છે. કોર્પોરેશને એવું તો કેવું સ્માર્ટસિટી બનાવ્યું છે કે લોકોના જીવ બચાવવા માટે હવે ગટરગાર્ડ ઊભા રાખવા પડી રહ્યા છે.

અમદાવાદમાં આજે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો
અમદાવાદમાં આજે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ન્યૂ રાણીપ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ થયો હતો. બીજી તરફ અખબારનગર અંડરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવાયો હતો. બાદમાં પાણી ઊતરતાં તેને ફરીવાર વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો.

પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ગિરધરનગર શાહીબાગ અને અસારવા ચકલા બેન્ક ઓફ બરોડાની બહાર પણ પાણી ભરાયાં છે. બીજી બાજુ, વરસાદનાં પાણી ભરાતાં અખબારનગર અને મોટી વણઝાર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.શહેરના કેકે નગર વિસ્તારમાં ક્રોસિંગ રોડ પાસે ભારે વરસાદને કારણે સર્કલની વચ્ચોવચ્ચ પાણી ભરાઈ જવાથી સવારના સમયે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon