સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.
મંત્રી સહિત ૩ હજારથી વધુ નાગરિકોએ એમ. પી. શાહ આર્ટસ કોલેજમાં આસન-પ્રાણાયામ કર્યા.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગપ્રેમી નાગરિકોને સંબોધન કરતાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિનાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું શ્રેષ્ઠ સંતુલન સાધવામાં મદદરૂપ યોગ ભારતનો અતુલ્ય વારસો છે. ભારત દ્વારા વિશ્વને મળેલી સર્વશ્રેષ્ઠ ભેટ પૈકીની એક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં પ્રયાસોને કારણે સંયુક્ત રાષ્ટ્રોએ યોગનાં વૈશ્વિક મહત્વનો સ્વીકાર કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાનનાં માર્ગદર્શન હેઠળ આજે યોગ વિશ્વભરમાં પ્રચલિત થયા છે. ભારતમાં પણ સ્વસ્થ જીવન માટે યોગના મહત્વ વિશે ક્રાંતિકારી જાગૃતિ આવી છે.સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે વધુ ને વધુ લોકો સ્વસ્થ જીવન માટે યોગ અપનાવે, પોતાની જીવનશૈલીનો નિયમિત ભાગ બનાવે અને એકંદરે સમાજનું સ્વાસ્થ્ય સુધરે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન આવકારદાયક છે. નિરોગી શરીરને સૌથી મોટું સુખ ગણાવતા મંત્રીએ આજનાં તણાવભર્યા સમયમાં યોગાભ્યાસ માટે દિનચર્યામાં નિયમિત રીતે થોડો સમય ફાળવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે નિયમિત રીતે યોગાભ્યાસ કરનારા વ્યક્તિઓનું આયુષ્ય દીર્ઘ બને છે, સ્વાસ્થ્ય સુધરે છે અને દવાઓનો ખર્ચ ઓછો થાય છે. તેમણે યોગાભ્યાસ આજનાં દિવસ પૂરતો મર્યાદિત ન રહી સમગ્ર વર્ષ નિયમિત રીતે આ અભ્યાસ કરવા પર ભાર મૂક્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના મૈસુરથી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધિત કરી યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ જિલ્લાના તમામ લોકોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિવિધ આસન અને પ્રાણાયમ કરી શાંતિ તથા તાજગીનો અનુભવ કર્યો હતો. એમ.પી.શાહ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓએ પણ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાનાં કાર્યક્રમ ઉપરાંત હવા મહેલ, વઢવાણ સહિત જિલ્લાનાં દરેક તાલુકા મથકે, શાળા-કોલેજ સહિત વિવિધ સ્થળોએ યોગનાં કાર્યક્રમો યોજી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણીસુ વર્ષાબેન દોશી સહિત અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, નિવાસી અધિક કલેકટર એન ડી ઝાલા, પ્રાંત અધિકારી વી.એન. સરવૈયા, રમત ગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, યુવા વિકાસ અધિકારી હિતેષ મેસવાણિયા, સહિતનાં અધિકારીઓ જિલ્લા કો-ઓર્ડિનેટ સુશ્રી નીતાબેન દેસાઇ સહિત યોગ સાથે સંકળાયેલી પતંજિલ, આર્ટ ઓફ લિવિંગ સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, યોગાભ્યાસીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
✍️એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર✍️
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.