ભાવનગરની જાણીતી કોલેજ શામળદાસ કોલેજનો અનોખો ઉપક્રમ હેરીટેજ વોક એન્ડ ટોક - At This Time

ભાવનગરની જાણીતી કોલેજ શામળદાસ કોલેજનો અનોખો ઉપક્રમ હેરીટેજ વોક એન્ડ ટોક


આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભાવનગરના ઐતિહાસિક સ્મારકો, સ્થળો, ઘટનાઓ, વ્યક્તિઓ, વિશેની આધારભૂત અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરવા સાથે તે અંગે વિદ્વાર્થીઓને સંવેદનશીલ બનાવવાનો છે

ભાવનગરની પુરાતન ઐતિહાસીક વિરાસતની જાણવણી થાય અને તે અંગેની યુવા પેઢીમાં જાણકારી વધે તે માટે ભાવનગરની જાણીતી શામળદાસ કોલેજનો અનોખો ઉપક્રમ ’હેરીટેજ વોક એન્ડ ટોક’ આજે યોજાયો હતો.

શામળદાસ આર્ટ્સ કોલેજના ઈતિહાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓ દર શનિવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ કલાકે ભાવનગરની ઐતિહાસીક જગ્યાઓએ જઇને તે અંગેની જાણકારી મેળવી તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભાવનગરના ઐતિહાસિક સ્મારકો, સ્થળો, ઘટનાઓ, વ્યક્તિઓ, વિશેની આધારભૂત અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરવાનો છે. ભાવનગર શહેરના ઐતિહાસિક વારસાનો પરિચય, તેની અજાણી હકીકતોની જાણકારી મેળવી, ઐતિહાસિક વારસાનું જતન કરવું, સંરક્ષણ માટે જાગૃતિ, વિદ્યાર્થીઓમાં ઐતિહાસિક સ્થળોની હકીકત રજૂ કરવાની સજૅનશકિતની તાલીમ, હેરિટેજ વોક થકી વિદ્યાર્થીઓ ઐતિહાસિક સ્થળોનો જીવંત આનંદ મેળવે, શહેરના ઐતિહાસિક વારસા વિશે સંશોધનાત્મક અભ્યાસ માટે પ્રેરિત થાય તેવો છે.
આ ઉપરાંત શહેરના ઐતિહાસિક ગૌરવમય વારસા પ્રત્યે સન્માનભાવ જાગે, શહેરના ઐતિહાસિક વારસાના જતન અને વિકાસમાં ભૂમિકા ભજવે,લોકોને જોડે, શહેરના પ્રવાસ અને પ્રવાસન વિકાસના સૂચનો કરે, સરકાર, મહાનગરપાલિકા અને સ્વયંસેવી સંસ્થાઓની ઐતિહાસિક વારસાના વિકાસની પ્રવૃત્તિઓમાં વોલેન્ટીયર તરીકે જોડાય, ઐતિહાસિક વારસાના વ્યવસ્થાપનનુ જ્ઞાન મેળવે, ઐતિહાસિક વારસાને નુકસાન થાય એવી ટેવોથી દૂર રહે, પયૉવરણ સંરક્ષણ, આધુનિક મૂલ્યો,માનવમૂલ્યોના વિકાસમાં સહભાગી થાય તે છે.

વિદ્યાર્થીઓના અભ્યાસ અને વ્યક્તિત્વ વિકાસમાં હેરિટેજ વોક એન્ડ ટોક નું ઘણું મહત્વ છે,એ ઉદ્દેશથી વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામમાં જોડાયાં હતાં.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ શહેરનું આધાનિકરણ ભાવનગર રાજ્યના મહારાજાશ્રી તખ્તસિંહજીના સમયમાં થયું હતું. સૌરાષ્ટ્રમાં આધુનિકતાના સુધારા ભાવનગરથી શરૂ થતાં હતાં, વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલ બાગમાં મહારાજાશ્રી તખ્તસિંહજીના સ્ટેચ્યુના દશૅન કરી, શામળદાસ કોલેજના હેરિટેજ ઈમારતની મુલાકાત કરી હતી, કોલેજના મકાનના ઈતિહાસની માહિતી સેમેસ્ટર પાંચના વિદ્યાર્થીની ગાયત્રીબેન બારૈયાએ આપી હતી. આ ઉપરાંત જશોનાથજી મંદિરના ઈતિહાસ વિશે પણ ગાયત્રીબેને માહિતી આપી હતી.

’હેરિટેજ વોક એન્ડ ટોક’ ભાવનગરનું સુંદર આયોજન કોલેજના ઈતિહાસ વિષયના સેમેસ્ટર પાંચના વિદ્યાર્થીઓએ કર્યું હતું.
કોલેજના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.લક્ષ્મણ વાઢેર, કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી ડો.જયવંતસિહ ગોહિલ, મુલાકાતી અધ્યાપકો સર્વશ્રી પ્રા.પવન જાંબુચા,પ્રા.વિજય કંટારિયા,પ્રા.રઘુવીરસિહ પઢિયાર,પ્રા.દિવ્યજીતસિહ ગોહિલે ’હેરિટેજ વોક એન્ડ ટોક’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon