ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના હાંસોટ ગામે જીવનેશ્વર ( સૂર્ય કુંડ) મહાદેવના મંદિરે શિવરાત્રીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી - At This Time

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના હાંસોટ ગામે જીવનેશ્વર ( સૂર્ય કુંડ) મહાદેવના મંદિરે શિવરાત્રીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી


રિપોર્ટ:- નિમેષ સોની

અંકલેશ્વર તાલુકાના હાંસોટ ગામે આવેલ પ્રાચીન જીવનેશ્વર (સૂર્ય કુંડ) દેવાધિદેવ મહાદેવજીના મંદિરે શિવરાત્રીના દિવસે શિવજીની પૂજા અર્ચના કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોજનો ઉમટી પડે છે અને શ્રધ્ધાપૂર્વક શિવજીની પૂજા અર્ચના કરી  મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. 

        આ મંદિરની પૂજા, અર્ચના, દેખરેખ હાંસોટ નિવાસી સોની નટવરલાલ કાંતિલાલ કરતાં હતાં. જેઓ પોતે પોતાની નોકરીની ફરજ બજાવવા ઉપરાંત મંદિરની સેવા પૂજા કરી દેખરેખ રાખતા હતાં. આ સાથે તેઓએ વર્ષો પહેલા સ્વખર્ચે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવનિર્મિત બનાવ્યું હતું. આજે પણ આ મંદિરમાં બિરાજમાન દેવાધિદેવ શિવજીની પૂજા, અર્ચના અને દેખરેખ તેમના વંશજો કરી રહ્યા છે. દરેક શિવરાત્રીના દિવસે આ પ્રાચીન શિવ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મંદિરનાં સૂર્ય કુંડનો મહિમા પણ અનેરો છે. નર્મદા  પુરાણમાં પણ આ સૂર્યકુંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સૂર્યકુંડમાં ન્હાવાથી દરેક પાપ અને કષ્ટો દૂર થઈ જતા હોવાની માન્યતા શ્રધ્ધાળુઓમાં પ્રવર્તી રહી હોવાથી આ મંદિરમાં ભક્તજનોની ભારે ભીડ જામતી હોય છે. આમ, આ શિવ મંદિર પણ સમગ્ર પંથકમાં આસ્થાનું મોટું કેન્દ્ર બની રહેવા પામ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon