સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી સંપટનાં અધ્યક્ષસ્થા‍ને વિધાનસભા ચૂંટણી-2022 સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ. - At This Time

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી સંપટનાં અધ્યક્ષસ્થા‍ને વિધાનસભા ચૂંટણી-2022 સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ.


તા.03/11/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ.

જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો માટે 1લી ડિસેમ્બરનાં રોજ મતદાન યોજાશે.

વિધાનસભા ચૂંટણી – 2022 સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, સુરેન્દ્રનગર ખાતે આજે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. વિધાનસભાની પાંચ બેઠકો માટે તા.1 ડિસેમ્બર-2022ના રોજ જિલ્લાનાં કુલ 1543 મતદાન મથકો પર મતદાન થશે. જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો ૬૦-દસાડા, ૬૧-લીંબડી, ૬૨-વઢવાણ, ૬૩-ચોટીલા, ૬૪-ધ્રાંગધ્રાનો સમાવેશ થાય છે. જિલ્લાનાં કુલ 7,41,982 પુરૂષ મતદારો, 6,80,670 મહિલા મતદારો તેમજ 25 અન્ય મતદારો મળી કુલ 14,22,677 મતદારો લોકશાહીનાં આ પર્વમાં ભાગ લેશે. જિલ્લાનાં કુલ મતદાન મથકો, સંવેદનશીલ મતદાન મથકો, મતદારયાદી, વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી અધિકારીઓ સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી જિલ્લા ચૂંટણી અધિકારીએ આપી હતી. ચૂંટણી પ્રક્રિયાનાં મહત્વનાં તબક્કાઓની તારીખ વિશે વિગત આપતા સંપટે જણાવ્યું હતું કે જિલ્લામાં ચૂંટણી માટેનું જાહેરનામું તા.૦૫/૧૧/૨૦૨૨નાં રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.૧૪/૧૧/૨૦૨૨ અને ફોર્મ ચકાસણીની તારીખ ૧૫/૧૧/૨૦૨૨, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ ૧૭/૧૧/૨૦૨૨ રહેશે. જ્યારે તા. ૦૮/૧૨/૨૦૨૨નાં રોજ મતગણતરી હાથ ધરાશે.તેમણે પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની સામાન્ય/ ચૂંટણી-૨૦૨૨ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાનની ટકાવારી વધે તે માટે તંત્ર દ્વારા કરાયેલા પ્રયાસો વિશે વાત કરતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે 80 વર્ષથી વધુ વયનાં મતદારો, 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો તેમજ કોવિડ પોઝિટીવ મતદારો માટે ફોર્મ 12-ડી ભરીને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે માટે જાગરૂકતા વધારવાની દિશામાં તંત્રને સહયોગ કરવા તેમણે અપીલ કરી હતી. ચૂંટણી સંબંધિત તમામ પરવાનગીઓ એક જ જગ્યાએથી મળી રહે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો વિશે વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લાનાં કુલ 541 સંવેદનશીલ મતદાન મથકો ઉપર પેરામિલીટરી ફોર્સ સહિત ચુસ્ત સલામતી બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ તમામ મતદાન મથકો સહિત કુલ 50 ટકા મતદાન મથકો પરથી મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. જાહેર પ્રજા, રાજકીય પક્ષો, ઉમેદવારો તથા મતદારો આચારસંહિતનાં ભંગ અને ચૂંટણી સંબંધી ફરિયાદ ઓનલાઈન કરી શકે તે હેતુસર ભારતીય ચૂંટણી પંચ દ્વારા c-vigil એપ્લિકેશન કાર્યરત કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લા કક્ષાએ તથા વિધાનસભા મત વિભાગ કક્ષાએ ખાસ ટીમોની રચના પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે એફએસટી, એસએસટી, વીએસટી સહિતની 96 જેટલી વિવિધ ટીમો અને 22 ચેક પોસ્ટની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા થતા ચૂંટણી ખર્ચ પર વિશેષ ધ્યાન રાખવા માટે આઈટી, જીએસટી અને સ્ટેટ ટેક્સનાં અધિકારીઓની વિશેષ ટીમોનો પણ આ વખતે સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા સૂચારૂરૂપે પૂર્ણ થાય તે માટે કુલ 18 જેટલા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ વખતે જિલ્લામાં કુલ 35 મતદાન મથકો મહિલા સંચાલિત, 5 મતદાન મથકો મોડેલ મતદાન મથકો તરીકે, 5 મતદાન મથકો ઈકોફ્રેન્ડલી મતદાન મથકો, 5 મથકો દિવ્યાંગ કર્મીઓ દ્વારા સંચાલિત તેમજ 1 મતદાન મથક તંત્રનાં સૌથી યુવા કર્મીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે.આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલિસ વડા હરેશ દૂધાત, નિવાસી અધિક કલેક્ટર દર્શના ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે. મજેતર, નાયબ માહિતી નિયામક, ચૂંટણી નાયબ મામલતદાર મયૂર દવે તેમજ જિલ્લાનાં અગ્રણી પત્રકારઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon