અરવલ્લીના મેઘરજ ખાતે આન-બાન-શાન સાથે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mtzprtbwuerv5urz/" left="-10"]

અરવલ્લીના મેઘરજ ખાતે આન-બાન-શાન સાથે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ


આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરવાની સાથે સર્વાગી વિકાસની દિશામાં ગુજરાત અગ્રેસર છે*. : સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીના.

અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ ખાતે જિલ્લા સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.

કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી શુભેચ્છાઓ અપર્ણ કરી હતી. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની એકતા અને અખંડિતાને ટકાવી રાખવામાં સંવિધાનનો મોટો ફાળો હોવાનું જણાવી દરેક નાગરીકને બંધારણમાંથી મળેલ મૂળભૂત ફરજો અને મૌલિક અધિકારોની સમજ આપી તેના દાયિત્વને નિભાવવા અરજ કરી હતી. વૈવિધ્યતાથી સમૃધ્ધ એવા દેશના નાગરિકો લોકશાહિને સાચવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. છેવાડાના માણસ સુધી સ્વરાજના ફળ પંહોચાડવા રાજ્યની આ સરકાર કામ કરી રહી હોવાનું ઉમેરી તેમણે લોકામિભુખ અને પારદર્શક વહિવટીનો અહેસાસ પ્રજાને થઇ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

કલેકટરશ્રીએ વૈશ્વિક મહામારીમાં કોરોનાને મ્હાત આપવા સૌ લોકો એકજુટ બન્યા જેથી પરિસ્થતિને કાબુમાં લઇ શક્યા હોવાનું જણાવતા ઉમેર્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટીથી આરોગ્યક્ષેત્રે અસરકારક કદમ લેવાયા છે. તેમણે દેશના પ્રધાનમંત્રીશ્રીએ કોરોનાની મહામારી સામે મફત રસીકરણની શરૂઆત કરી અને સ્વદેશી રસીકરણની પહેલ કરી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરી રહ્યા છે. જેમાં ગુજરાતે પણ સર્વાગી વિકાસ દિશામાં અગ્રેસર બની રહ્યા છે.

કલેકટર શ્રીએ અરવલ્લી જિલ્લાની વાત કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૩થી આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી વિકાસક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. શામળાજીના કાળીયા ઠાકોર અને બૌધ્ધની અમૂલ્ય વિરાસત ધરાવતા શ્રધ્ધાના કેન્દ્રો છે. આઝાદીકાળમાં અમૂલ્ય ફાળો આ જિલ્લાનો રહ્યો હોવાનું જણાવ્યું હતું.

જિલ્લામાં થયેલા વિકાસલક્ષી કામોની વાત કરતા કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં રૂ.100 કરોડના ખર્ચે બનનારી નવીન સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ જીલ્લાના આરોગ્ય ક્ષેત્રના વિકાસને અલગ જ સ્તર પર લઈ જશે. આ હોસ્પિટલથી જીલ્લાની જનતા સહિત સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર અને રાજસ્થાનના લોકોને પણ લાભ મળશે.

અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) મોડાસા હસ્તકનાં ૧૯ રોડ અને સ્ટ્રક્ચરનાં કામો ૫૪.૯૩ કિમી લંબાઈના તથા ૧૪૧૩૪.૩૯ લાખની રકમના મંજુર થયેલ છે જે પૈકી ૩૦.૧૮ કિમી લંબાઈના ૧૮૧૦.૦૦ લાખ રકમના ૪ કામો પૂર્ણ કરવામાં આવ્યા, ૯.૩૫ કિમી લંબાઈનાં ૧૧૮૪.૯૬ લાખ રકમના ૩ કામો પ્રગતિ હેઠળ છે તથા ૧૨ કામો ટૂંક સમયમાં શરુ થનાર છે તેમ કલેકટરશ્રીએ ઉમેર્યુ હતું.

તેમણે નલ સે જલની વાત કરતા કહ્યુ હતુ કે અરવલ્લી જિલ્લાના ૬૭૫ ગામો પૈકી તમામ ૬૭૫ ગામોમાં નળ જોડાણ કામ પૂર્ણ કરાયુ છે. જેમાં ૨,૯૦,૭૭૮ ઘરોને જોડાણ આપી પાણીની સુવિધાથી સજ્જ કરાયા છે. નર્મદાના નીર ઘરે ઘરે પંહોચે તે માટે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરાઇ હોવાનું જણાવ્યું હતુ.

તેમણે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, સખી મંડળ અને ગરીબ લાભાર્થીઓ માટે કરાયેલ કલ્યાણકારી કામોની પણ વિગત આપી હતી. શિક્ષણક્ષેત્ર નોંધનીય કામગીરી થઇ હોવાનું પણ જણાવ્યું હતું. જિલ્લામાં કોઇ નાગરીક ભૂખ્યા પેટે ન સુવુ પડે તે માટે અનેક પરીવારોને વિનામૂલ્યે રાશન અપાયું છે. જયારે વન નેશન વન રેશન યોજનામાં જિલ્લામાં પ્રોત્સાહક કામગીરી કરાઇ છે.

જીલ્લાની પશુ સમૃદ્ધિની વાત કરતા કલેકટર શ્રી એ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં 20મી પશુધન વસતી ગણતરી પ્રમાણે ગાય વર્ગના 425032 પશુઓ, ભેંસ વર્ગના 384808 પશુઓ તેમજ ઘેંટા-બકરાં વર્ગના 207564 પશુઓ મળી કુલ 10,17,404 પશુધન આવેલ છે. જિલ્લાના પશુપાલકોએ વાર્ષિક 1943 કરોડ રૂપીયાની આવક પ્રાપ્ત કરે છે.

આદિવાસી વિકાસ માટે સતત ચિંતિત એવી આ સરકાર દ્વારા અંદાજિત 20 કરોડના ખર્ચ કન્યા અને કુમાર છાત્રાલય બનાવવામાં આવનાર છે. જે આદિજાતિના બાળકોના ઉચ્ચ શિક્ષણમાં મહત્વનો ફાળો ભજવશે.

ખેતીક્ષેત્રે થયેલા કામની વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી અને સર્ટીફાઇડ બિયારણ સહીતના લાભો પુરા પાડવામાં આવે છે. તેમણે જિલ્લામાં કુપોષણ નિવારવા હાથ ધરાયેલા વિવિધ અભિયાનોની વાત કરી હતી.

ઉજવણી પ્રસંગે વિકાસ અર્થે રૂ.૨૫ લાખનો ચેક અપર્ણ કરાયો હતો. આ ઉપરાંત શાળાના પ્રાંગણમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. જિલ્લાના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા.

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભિલોડાના ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અધિકારીશ્રી રાજેશ કુચારા તેમજ જિલ્લા અગ્રણીશ્રીઓ સહિત અન્ય અધિકારીશ્રીઓ-પદાધિકારી તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા, મોડાસા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]