મોબાઈલ ફોનથી કેન્સર થતું નથી:WHO એ ડર દૂર કર્યો, પરંતુ શું મોબાઈલ સંપૂર્ણપણે સુરક્ષિત છે? વાંચો શું કહે છે ડૉક્ટર - At This Time

મોબાઈલ ફોનથી કેન્સર થતું નથી:WHO એ ડર દૂર કર્યો, પરંતુ શું મોબાઈલ સંપૂર્ણપણે સુરક્ષિત છે? વાંચો શું કહે છે ડૉક્ટર


મોબાઈલ ફોન વિશે ઘણી વખત એવો ભય અને ગેરસમજ ફેલાવવામાં આવે છે કે તેના ઉપયોગથી કેન્સર થાય છે. પરંતુ શું આ વૈજ્ઞાનિક રીતે સાચું છે? હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ અહેવાલમાં, મોબાઇલ ફોન અને કેન્સર વચ્ચેના સંબંધને જાણવા માટે સમગ્ર વિશ્વમાં કરવામાં આવેલા ઘણા અભ્યાસોની સમીક્ષા કરવામાં આવી છે. અહેવાલ મુજબ- આ રિસર્ચ ઓસ્ટ્રેલિયન રેડિયેશન પ્રોટેક્શન એન્ડ ન્યુક્લિયર સેફ્ટી એજન્સી (ARPANSA) દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં સમગ્ર વિશ્વમાંથી કુલ 5,000 થી વધુ અભ્યાસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આનું મૂલ્યાંકન ઘણાં વૈજ્ઞાનિક પાસાંઓ પર કરવામાં આવ્યું હતું, તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને અંતે 1994 અને 2022 વચ્ચે પ્રકાશિત થયેલા માત્ર 63 સૌથી સચોટ અભ્યાસોની સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ અભ્યાસોના વિગતવાર અભ્યાસ અને સમીક્ષા બાદ વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી કોઈ પણ પ્રકારનું કેન્સર કે ટ્યુમર થતું નથી. આ સમીક્ષા એટલા માટે જરૂરી હતી કારણ કે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનના નામે અનેક માન્યતાઓને સત્ય તરીકે રજૂ કરવામાં આવી રહી છે. આમાં એક મોટી માન્યતા એવી પણ હતી કે મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયો તરંગો મગજ, માથું અને ગરદનના કેન્સરનું કારણ બને છે. મોબાઈલ ફોનથી કેન્સર થતું નથી એ વાત ચોક્કસ છે, પરંતુ શું તેનો અર્થ એ છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ સંપૂર્ણપણે સલામત છે? તે જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી ચલાવી શકાય? તે બિલકુલ એવું નથી. મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાના ઘણા ગેરફાયદા છે. આ ફોકસ ઘટાડે છે. ધ્યાનની અવધિ (અટેન્શન સ્પાન) ઘટે છે. આંખના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. તેથી, આજે ‘તબિયતપાણી’માં આપણે જાણીશું કે મોબાઈલ ફોનના ઉપયોગથી કેવાં પ્રકારનાં નુકસાન થાય છે. તમે એ પણ જાણી શકશો કે- વિશ્વમાં 70% લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે
વિશ્વનો પહેલો સ્માર્ટફોન વર્ષ 1994માં માર્કેટમાં આવ્યો અને થોડાં જ વર્ષોમાં તે લોકોના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયો. ‘સ્ટેટિસ્ટા’ પર પ્રકાશિત અહેવાલ મુજબ, વિશ્વની લગભગ 70% વસ્તી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આના વિના લોકો અસહાય અનુભવે છે. દરેક ઉંમરના લોકોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. પરિણામે તેની આડઅસર પણ દેખાઈ રહી છે. નીચે આપેલા ગ્રાફિક દ્વારા મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાન વિશે જાણો. ગ્રાફિકમાં આપેલા મુદ્દાઓને વિગતવાર સમજો. ઊંઘને ​​અસર થાય છે
અમેરિકન નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ મોબાઈલ ફોન કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરવાથી ઊંઘ પર અસર થાય છે. મોડી રાત સુધી મોબાઈલ ફોન અને લેપટોપમાંથી નીકળતા પ્રકાશની હાજરીમાં આપણું શરીર ઊંઘ માટે જરૂરી હોર્મોન મેલાટોનિન છોડવામાં અસમર્થ હોય છે અથવા તેનું પ્રમાણ જરૂરી કરતાં ઓછું હોય છે. આવી સ્થિતિમાં ઊંઘ આવે તો પણ એટલી ગાઢ નથી આવતી. આને કારણે, જ્ઞાનાત્મક કાર્ય (કોગ્નિટિવ ફંક્શન) બગડે છે, રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને હૃદય રોગનું જોખમ વધે છે. આંખો પર તાણ આવે છે
મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આંખોમાં તાણ વધી શકે છે. મોબાઈલ ફોનની નાની પ્રિન્ટ અને બ્રાઈટ સ્ક્રીન આંખોને વધુ મહેનત કરવા મજબૂર કરે છે. આનાથી ડ્રાય આઇઝ, બ્લર વિઝન અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ બધું જ દૃષ્ટિને અસર કરી શકે છે. સ્ટ્રેસ લેવલ વધે છે
મોબાઈલ ફોનની સ્ક્રીન પર સતત જોવાથી સ્ટ્રેસ લેવલ વધી શકે છે. તેનાથી ચિંતા વધી શકે છે. ઉપરાંત, આંખો અને ગરદનના સ્નાયુઓમાં તણાવ વધી શકે છે. વ્યસન અને નિર્ભરતા વધે છે
લોકો મોબાઈલ ફોનના વ્યસની બની રહ્યા છે. કેટલાક લોકો મોબાઈલ ફોન પણ પોતાની સાથે ટોઈલેટમાં પણ લઈ જાય છે. આ માટે નવો શબ્દ છે 'નોમોફોબિયા'. મતલબ કે મોબાઈલ ફોન વગર નર્વસ થવું. આ સિવાય દરેક નાના-મોટા કામ માટે લોકો મોબાઈલ ફોન પર નિર્ભર બની રહ્યા છે. જેના કારણે મહેનત કરવાની ટેવનો અંત આવી રહ્યો છે. અટેન્શન સ્પાન ઘટી રહ્યો છે
મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત થવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ વિચલિત થયા વિના કેટલા સમય સુધી સતત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇર્વિન દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, છેલ્લાં 20 વર્ષમાં મનુષ્યનું સરેરાશ ધ્યાન 2.5 મિનિટથી ઘટીને 47 સેકન્ડ થયું છે. ધ્યાન ઘટી રહ્યું છે
એક રીતે જોઈએ તો આખી દુનિયા સ્માર્ટફોનમાં કેદ થઈ ગઈ છે. આમાં લોકો દર મિનિટે એક એપથી બીજી એપ પર ભટકતા રહે છે. રીલ્સ દર 30 સેકન્ડે સ્ક્રોલ કરે છે. આની અસર એ છે કે લોકો એકાગ્રતા ગુમાવી રહ્યા છે. ધીરજ ઘટી રહી છે
વર્તમાન સમયમાં મોબાઈલ ફોન કોઈ જાદુથી ઓછો નથી. પહેલા લોકોને કોઈ શબ્દનો અર્થ ખબર ન હોય તો તેઓ લાંબા સમય સુધી શબ્દકોશમાં શોધવા જતા હતા. મનપસંદ ગીત વગાડવા માટે, તે પહેલાં કેસેટ શોધતા, પછી ટેપ રેકોર્ડરમાં રિવાઇન્ડ કરીને તેને ચાલુ કરતા. કેસેટ ઘરે હોય તો પણ ઓછામાં ઓછી 5 મિનિટ તો એમાં જ ખર્ચાઈ જતી. હવે આ બધું થોડીક સેકન્ડમાં જ થઇ જાય છે. પરિણામે, લોકો તેમની ધીરજની ક્ષમતા ગુમાવી રહ્યા છે. બાળકોના વિકાસ પર અસર પડી રહી છે
ખાસ કરીને મોબાઈલ ફોનના ઉપયોગથી નાનાં બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર નકારાત્મક અસર પડી રહી છે. બાળકો સંવેદનશીલ હોય છે. વધારે પડતો સ્ક્રીન સમય તેમના કોગ્નિટિવ અને ભાવનાત્મક વિકાસને અવરોધે છે. આના કારણે ધ્યાન ખેંચવાની સમસ્યાઓ, ભાષા કૌશલ્યમાં વિલંબ અને વર્તણૂકીય સમસ્યાઓ થઈ રહી છે. બાળકો બહાર મેદાનમાં રમવાને બદલે મનોરંજન માટે સ્માર્ટફોન પર ગેમ રમી રહ્યા છે કે વીડિયો જોઈ રહ્યા છે. જેના કારણે તેમના શારીરિક વિકાસ પર પણ અસર પડી રહી છે. ભારતમાં સરેરાશ વ્યક્તિ 4 કલાક ફોનનો ઉપયોગ કરે છે
આંતરરાષ્ટ્રીય ડિજિટલ ડેટા ફર્મ 'ડેટા રિપોર્ટલ'ના રિપોર્ટ અનુસાર ભારતમાં એક વ્યક્તિ સરેરાશ 4 કલાક 3 મિનિટ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ કિસ્સામાં સમગ્ર વિશ્વમાં સરેરાશ સમય 3 કલાક 15 મિનિટ છે. ભારતીયો આના કરતાં લગભગ 50 મિનિટ વધુ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. સરેરાશ, જાપાનમાં લોકો દિવસમાં 2 કલાકથી ઓછા સમય માટે તેમના ફોનનો ઉપયોગ કરે છે. ગ્રાફિકમાં જુઓ આ મામલે ચીન, રશિયા અને અમેરિકાની સ્થિતિ શું છે. લોકો બેઝિક ફોન પર પાછા ફરી રહ્યા છે
કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેલના ડેટા અનુસાર છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો વધુ વધવાની ધારણા છે. તેનું એક કારણ એ છે કે નવી પેઢીએ ફરીથી બેઝિક ફોન ખરીદવાનું શરૂ કર્યું છે. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો પહેલેથી જ નિર્દેશ કરી ચૂક્યા છે કે જો લોકો તેમના મગજનો ઉપયોગ કરવાને બદલે ફોન પર નિર્ભર થઈ જશે, તો મગજની કામગીરી નબળી પડી જશે અને ઉત્ક્રાંતિમાં મર્યાદિત થઈ જશે. આપણે એ સમજવાની જરૂર છે કે માનવ મગજ સ્માર્ટફોન કરતાં વધુ ઝડપી અને વધુ શક્તિશાળી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.