માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્નોથી પોરબંદર ખાતે કેન્સરના દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્ટર શરૂ થશે - At This Time

માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્નોથી પોરબંદર ખાતે કેન્સરના દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્ટર શરૂ થશે


*માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્નોથી પોરબંદર ખાતે કેન્સરના દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્ટર શરૂ થશે*

*માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કરેલ ભલામણના સંદર્ભમાં માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે રેડિયોથેરાપી સેન્ટર શરૂ કરવા કર્યા આદેશ*

*પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના દરિયા કિનારાના તાલુકાઓના કેન્સર પિડીત લોકોને ઘર આંગણે મળશે સારવારનો લાભ*

પોરબંદરના માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર અને આસપાસના વિસ્તારની આરોગ્ય સેવાઓ સુધારવા માટે કામ કરી રહ્યા છે. જે અંતર્ગત તેમને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર માટે રેડિયોથેરાપી સેન્ટર મંજુર કરાવવામાં સફળતા મળી છે. આ રેડીયોથેરાપીનો સમાવેશ કેન્સરના રોગની સૌથી ઉત્તમ સારવાર પદ્ધતિઓમાં થાય છે. આ રેડિયોથેરાપીમાં કેન્સરના કોષોને મારવા માટે રેડિયેશનનો ઉપયોગ કેન્સરના મોટાભાગના પ્રકારની સારવારમાં થાય છે, જેનાથી કેન્સરના કોષોનો નાશ થાય છે, પરંતુ પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોમાં એકપણ સરકારી રેડિયોથેરાપી સેન્ટર ઉપલબ્ધ ન હોવાથી આ વિસ્તારોના કેન્સરના દર્દીઓએ રેડિયોથેરાપી માટે રાજકોટ અથવા અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડતા હતા. જે બાબત પોરબંદરના માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત તા. ૨૫/૦૫/૨૦૨૪ ના રોજ ગુજરાત સરકારના માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ મળીને પોરબંદર જિલ્લાની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સલગ્ન ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રેડિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે ભાલમણ કરી હતી. પત્રમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ સૌથી વધુ છે. આ જિલ્લાઓના દરિયા કિનારાના તાલુકાઓની અંદાજે ૧૨ થી ૧૫ લાખ વસ્તી માટે નજીકના વિસ્તારમાં કેન્સરની સારવાર માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેને ધ્યાનમાં લઈને પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેન્સર દર્દીઓ માટે પોરબંદર જિલ્લાની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સલગ્ન ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રેડિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવે.

માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આ ભલામણના પગલે માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ તેમજ આરોગ્ય કમિશ્નરને આદેશ આપ્યા છે કે ગુજતર કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (GCRI)ના ડાયરેક્ટર તથા જી.એમ.ઈ.આર.એસ. ના સી.ઇ.ઓ સાથે સંકલન કરીને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં રેડિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે યોગ્ય કાર્યવાહી શરૂ કરે. માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના આ આદેશ બાદ ટુંક સમયમાં પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્ટરની સુવિધા ઉપલબ્ધ બનશે.

માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્નોના કારણે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્ટરની સુવિધા શરૂ થઈ જવા રહી છે, જેનો લાભ માત્ર પોરબંદર જિલ્લાને જ નહીં, પરંતુ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના દર્દીઓને પણ મળશે, તેમજ આ ચાર જિલ્લાના કેન્સરના દર્દીઓને અમદાવાદ આવવા-જવાનો ખર્ચ બચી જશે અને અન્ય મુશ્કેલીઓ પણ વેઠવી નહીં પડે.

આ સુવિધાઓ આપવા બદલ પોરબંદરના સેવાભાવી આગેવાનો, ડૉક્ટર મિત્રો અને સ્વૈછિક સંસ્થાઓએ માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.