વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ઉથલાવવા પ્રયાસ
રાજકોટ:
વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ થતા રાજકોટ રેલવે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સ આધારે તપાસ કરી આ કાવતરાનો પર્દાફાશ કર્યો છે, જે મુજબ ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે હિંસાના મુખ્ય આરોપીના ઘર પર બુલડોઝર ફેરવ્યું હતું જેથી વાંકાનેરના આરોપીએ બદલો લેવા ટ્રેન ઉથલાવવા કાવતરું ઘડ્યું હતું. આ ગુનામાં અકબર ઉર્ફે હક્કો દાઉદ મિયાણા(રહે. મિલપ્લોટ, અમરપરા ચોક, વાંકાનેર) અને લક્ષ્મણ મગન કોળીની ધરપકડ થઈ છે.
આ અંગે રાજકોટ રેલવેના ડીવાયએસપી જે.કે.ઝાલાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે, 11 દિવસ પહેલા વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન મોરબી આવી હતી અને બાદમાં રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનન વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે રવાના થઈ હતી. દરમિયાન પોણા ચાર વાગ્યા આસપાસ ડેમુ ટ્રેન મકનસર - વાંકાનેર સ્ટેશન વચ્ચે આવતા ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળતા તુરંત ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી.
જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું. ટ્રેનના ચાલકે રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. રેલવે અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આજે આરોપી અકબર ઉર્ફે હક્કો દાઉદ મિયાણા અને લક્ષ્મણ મગન ઈશોરા (કોળી)ની ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ કરી છે. ઉપરાંત આ આરોપીઓ સાથે અન્ય કોઈ શખ્સો હતા કે કેમ? તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]