સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ૭૩માં વન મહોત્સવની ખેડબ્રહ્મા ખાતે ઉજવણી કરાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ૭૩માં વન મહોત્સવની ખેડબ્રહ્મા ખાતે ઉજવણી કરાઇ


સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ૭૩માં વન મહોત્સવની ખેડબ્રહ્મા ખાતે ઉજવણી કરાઇ
******************
માનવજીવનના અસ્તિત્વ માટે પ્રકૃતિનું જતન કરવું જરૂરી છે.
મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા
*******************
સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ૭૩મો વન મહોત્સવ ખેડબ્રહ્માની આર્ડેકતા કોલેજ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો મહોત્સવ છે. દેશ અને દેશવાસીઓ પ્રકૃતિના પૂજક રહ્યા છે. આપણી ધર્મ સંસ્કૃતિ પણ પ્રકૃતિમય જીવનને વરેલી છે. દુનિયાના અલગ અલગ રાષ્ટ્રની સંસ્કૃતિનો ઉદય થયો અને અસ્ત પણ થઇ ગયો તેની પાછળનું કારણ છે કે તેઓએ પ્રકૃતિનું સંર્વધન કર્યુ નથી, માનવજીવનના અસ્તિત્વ માટે પ્રકૃતિનું જતન કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માત્ર પ્રગતિશીલ જ નથી પરંતુ પ્રકૃતિમય પણ છે જેને લઇ જિલ્લામાં બે ટકા જેટલો વન વિસ્તારનો વધારો થયો છે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ૪૦ ટકા એનર્જી ખોરાકમાંથી મળે છે જયારે ૬૦ ટકા એનર્જી પ્રકૃતિમાંથી માણસને મળે છે. જો તમે વૃક્ષોનું વધુ વાવેતર કરશો તો જ પોતાના પરીવાર, સમાજ અને માનવજાતિનું જતન થઇ શકશે. તેમણે કહ્યુ હતું કે, સમાજજીવનમાં જાગૃતિ લાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધાર્મિક, સાંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળોને જોડીને વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. જેનુ સૌ પ્રથમ ગાંધીનગરના પુનિત વનના નિર્માણથી કર્યુ હતું. એજ પરંપરાને જાળવી રાખતા આજે ૨૨માં વન મહોત્સવની સુરેન્દ્રનગરના વટેશ્વર ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, માણસની સ્વાર્થિવૃતિના કારણે આજે વૃક્ષોમાં ઘટાડો થઇ રહ્યો છે જેના માઠા પરીણમો આજે આપણે ભોગવી રહ્યા છીએ. તેમણે બહુધા આદિવાસી વિસ્તાર ધરાવતો આ જિલ્લાના આદિજાતિના લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા છે.તેઓ ધરતી, પહાડો, વૃક્ષો, પશુ-પંખી અને પ્રકૃતિનું પૂજન કરે છે. તેમણે વનવિભાગને અપીલ કરતા જણાવ્યું હતું કે, ફળાઉ અને ટીમરુના વૃક્ષોનો ઉછેર થાય તો આદિવાસી લોકો માટે રોજગારીનું નિર્માણ થઇ શકે.
કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસથી જિલ્લાનો વન વિસ્તાર ૯ ટકાથી વધીને ૧૧ ટકા સુધી પહોંચ્યો છે. આ માત્ર જિલ્લાકક્ષાએ જ નહિ પરંતુ ૮ તાલુકાકક્ષાએ ૨૦૦ ગ્રામ્યકક્ષાએ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું, જિલ્લામાં મનરેગાના કામદારોને કામ મળી રહે તે માટે મિયાવાંકી પધ્ધતિથી સરસ વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આત્માના માળખાથી ખેતરે ખેતરે ઘનિષ્ઠ વનીકરણ થયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વન મહોત્સવમાં વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મંત્રી શ્રી તથા મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ તેમજ વનીકરણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
વન મહોત્સવની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, જિલ્લા પંચાયતના દંડક શ્રી હિંમાશુ નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ, અગ્રણી શ્રી લોકેશ ગમાર, મુળજીભાઇ પટેલ, આનંદીબેન પટેલ, સોમજી ખેર, રૂમાલ ધ્રાંગી સહિતના આગેવાનો અને આસપાસના ગ્રામજનો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon