અમદાવાદ નારોલ હાઈવે પર કતલ કરેલા પશુના ટુકડા મળી આવતા લોકોમાં ભારે રોષ - At This Time

અમદાવાદ નારોલ હાઈવે પર કતલ કરેલા પશુના ટુકડા મળી આવતા લોકોમાં ભારે રોષ


અમદાવાદ શહેરના નારોલ હાઈવે પર આજે સવારે કોઈ અજાણ્યો વ્યક્તિ પશુના ટુકડા ફેંકી જતા ભારે ચકચાર જોવા મળી હતી. કોઈ વ્યક્તિએ પશુની કતલ કરી થેલામાં ભરી લઈ જતાં પડી ગયું હોવાની શંકા સેવાઈ રહી છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના નારોલ હાઈવે પર આવેલ હનુમાન મંદિર પાછળ આજે વહેલી સવારે પશુનું કતલ કરેલું માથું અને શરીરના ટુકડા મળી આવ્યા હતા. પશુના ટુકડા જોઈ સ્થાનિકો અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો ભેગા થયા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે દક્ષેશ મહેતાએ જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ જેમાં ઇસનપુર વિસ્તારમાં પશુના ટુકડા મળ્યા હતા. તેમ આજે સવારે નારોલ હાઇવે પર હનુમાન મંદિર પાછળ પશુના ટુકડા મળ્યા છે. શા માટે અવારનવાર આવા માથાના જ ભાગો રોડ પર મળી આવે છે શું કોઈ ઉશ્કેરવાના પ્રયત્ન થઈ રહ્યા છે?

આ પહેલા પણ શહેરના વટવા વિસ્તારમાં શ્રાવણ માસમાં પશુના ટુકડા મળી આવ્યા હતા જેના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. આ અંગે પોલીસ તપાસ હાથ ધરી અને આસપાસ લગાવવામાં આવેલ તમામ સીસીટીવી કેમેરા તપાસતા અકસ્માતમાં આ ટુકડા પડી ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે ફરી એકવાર જાહેર માર્ગ એવા નારોલ હાઈવે પર પશુના ટુકડા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગેની જાણ પોલીસને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાલ આ સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ લઈ અને તપાસ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon