ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માં અંબાને ગાર્ડ ઓફ ઓનર અપાયું. - At This Time

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માં અંબાને ગાર્ડ ઓફ ઓનર અપાયું.


ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા પોલીસ દ્વારા આદ્યશક્તિ માં અંબાને ગાર્ડ ઓફ ઓનર અપાયું

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભાવિક ભક્તો સાથે શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરી

યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સમાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના ચોથા દિવસે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ માં અંબાનો જયકાર કરી માઇભક્તો સાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમામાં સહભાગી બન્યા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આદ્યશક્તિ જગતજનની માં અંબાને બનાસકાંઠા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'માં પધારેલા શ્રી હર્ષ સંઘવીએ હજારો માઇ ભક્તો સાથે શક્તિ સ્વરૂપા માં જગદંબાની ભક્તિભાવથી પૂજા કરી શક્તિના પ્રતીક સમું ત્રિશુળ માં ના ચરણોમાં અર્પણ કર્યું હતું. શ્રી હર્ષ સંઘવીએ ભક્તિ રંગમાં રંગાઈ હજારો માઇભક્તો સાથે ત્રિશૂળયાત્રા યોજી શ્રી ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી હતી. મંત્રીશ્રી સાથે ત્રિશૂળયાત્રામાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પણ ઉત્સાહથી જોડાયા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ૫૧ શક્તિપીઠની તેમની પરિક્રમામાં યશોશ્વરી શક્તિપીઠ મંદિરની પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે તેમણે શક્તિના ઉપાસક અને માં જગદંબાના અનન્ય ભક્ત એવા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સ્વરૂપે તેમની બાંગ્લાદેશની યાત્રા દરમિયાન બાંગ્લાદેશમાં આવેલ શક્તિપીઠ યશોશ્વરી માં ના મંદિરે દેશની આઝાદી બાદ પ્રથમવાર પૂજા કરી એ પ્રસંગને યાદ કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને કારણે અંબાજી ખાતે એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોનું આબેહૂબ નિર્માણ થયું છે. એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોના દર્શન કરી આ આધ્યાત્મિક પરિક્રમામાં જોડાવવા તેઓએ માઇભક્તોને આહવાન કર્યું હતું. પવિત્ર યાત્રાધામ અંબાજીના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી આગામી વર્ષોમાં પરિક્રમા યાત્રામાં વધુ સુવિધાઓ અને સવલતો ઉભી કરવામાં આવશે તેમજ વ્યક્તિ ખૂબ ઓછો આર્થિક ખર્ચ કરી પરિવાર સહિત 51 શક્તિપીઠની યાત્રા કરી શકે એવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે એમ ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ પવિત્ર યાત્રાધામને ગંદકી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અપીલ સાથે યાત્રાળુઓને સ્વંયમ સ્વચ્છતા અપનાવી અંબાજી ધામને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. પરિક્રમા બાદ મંત્રીશ્રીએ અંબાજી મંદિર અને જૈન તીર્થ કુંભારિયાજીના દર્શન કર્યા હતા.

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જિલ્લા કલેક્ટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ દ્વારા સમગ્ર બનાસકાંઠા વહીવટીતંત્ર અને લાખો માઇભક્તો વતી આવકારી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, સંગઠનના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી પ્રશાંત કોરાટ સહિત સામાજિક - રાજકીય આગેવાનશ્રીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon